કોઝીકોડ,
આજથી લગભગ ૨૦ વર્ષ પહેલા મલેશિયામાં જોવા મળેલા નિપાહ વાઇરસના કેસ બાદ તાજેતરમાં આ વાઇરસ દક્ષિણી રાજ્ય કેરળમાં પણ ખુબ ઝડપી આગળ વધતો જોવા મળી રહ્યો છે. કેરલના કોઝીકોડમાં નિપાહ વાયરસથી ૧૦ વ્યક્તિના મોત નીપજ્યા છે. જેમાં એક જ પરિવારના ચાર વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. જયારે અન્ય ચાર વ્યક્તિની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. જો કે આ દરમિયાન કરવામાં આવેલી તપાસમાં ૨૫ લોકોના લોહીમાં આ વાઇરસ હોવાની પણ પૃષ્ટિ થઇ છે.
કેરળમાં ઝડપથી આગળ વધી રહેલા નિપાહ વાઇરસને જોતાં કેરલ સરકાર દ્વારા આ મામલે કેન્દ્ર સરકાર પાસે તત્કાલ મદદ પૂરી પાડવા માટેની અપીલ કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી, નડ્ડાએ એનસીડીસીની ટીમને તાત્કાલિક કેરલ પહોંચવા માટેનો આદેશ કર્યો છે.
વિશ્વની સ્વાસ્થ્ય અંગેની અગ્રણી સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા અનુસાર, આ વાઇરસ ચામાચિડિયાના મારફત ફળોમાં અને ફળોમાંથી માણસ અને જાનવરોમાં ફેલાય છે.
આ પહેલા નિપાહ વાઇરસનો સૌપ્રથમ મામલો ૧૯૯૮માં મલેશિયાના કાપુંગ સુન્ગઈ નિપાહમાં જોવા મળ્યો હતો, તેથી જ તેને નિપાહ વાઈરસ તરીકે ઓળખવામાં આવે છે. જો કે ત્યારબાદ ૨૦૦૪માં બાંગ્લાદેશમાં આ વાઇરસ હોવાની પૃષ્ટિ થઇ હતી.
શું છે નિપાહ વાઇરસ
નિપાહ એ લોકો અને જાનવરોમાં ફેલાવવા વાળો એક ગંભીર વાઇરસ છે. આ ઇન્ફેકશન અન્સેફલાઈટિસનું કારણ હોય છે, જેથી તેને “નિપાહ વાઈરસ અન્સેફલાઈટિસ”નામથી જાણવામાં આવે છે.
નિપાહ વાઇરસ હેન્ડ્રા વાઈરસ સાથે સબંધિત છે, જે ફ્રૂટ દ્વારા ફેલાતો હોય છે.
પ્રારંભિક તપાસ મુજબ, આ વાઇરસ ખજૂર ખેતી સાથે જોડાયેલા લોકોને આ ઇન્ફેકશન ખૂબ ઝડપથી પોતાની ચપેટમાં લેતા હોય છે. આ વાઇરસના કારણે ૨૦૦૪માં બાંગ્લાદેશમાં લોકો ખુબ પ્રભાવિત થયા હતા.
શું હોય છે આ વાઇરસના લક્ષણો
આ વાયરસથી પ્રભાવિત શખ્સને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પડે છે પછી મગજમાં જલન (ગરમી) મહેસૂસ થાય છે. જો સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ નીપજી શકે છે.
વ્યક્તિઓમાં નિપાહ વાઇરસ એ અન્સેફલાઈટિસ સાથે જોડાયેલો છે, જેના કારણે બ્રેનમાં સોજો આવે છે. તાવ, માથામાં દુઃખાવો, આવવો એ આ વાઇરસના લક્ષણો છે.
ડોકટરો દ્વારા જણાવ્યા મુજબ, આ વાઈરસના કેટલાક મામલાઓમાં ૨૪ થી ૨૮ કલાક કલાકની અંદર જ લક્ષણો વધારવા પર દર્દી કોમામાં પણ જઈ શકે છે.
આ વાઇરસથી બચવા માટે શું કરવું ?
તાજેતરમાં અચાનક જ સામે આવેલા આ વાઈરસના ૨૫ જેટલા કેસો બાદ હજી સુધી કોઈ વેક્સીન (દવા) આવી નથી, પરંતુ આ વાઇરસથી બચાવ માટે ફળો અને ખાસ કરીને ખજૂર ખાવા જોઈએ.
તમને જણાવી દઈએ કે આ વાઈરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. આ વાઇરસને રોકવા માટે સંક્રમિત દર્દીથી અંતર બનાવવાની જરૂરિયાત છે. આ ઉપરાંત સંક્રમિત જાનવરથી પણ હંમેશા અંતર રાખવું જોઈએ.
આ ઉપરાંત વાઇરસથી બચવા માટે ઝાડ પરથી નીચે પડેલા ફળોને ખાવા ન જોઈએ તેમજ બીમાર ભૂંડ અને બીજા જાનવરોથી પણ દૂર રહેવું જોઈએ.