સુરેન્દ્રનગર,
પંજાબ નેશનલ બેંક કે જે નીરવ મોદી અને મેહુલ ચોકસી દ્વારા આચરવામાં આવેલા 11400 કરોડના ફ્રોડ માંથી ગુજરી રહી છે, તેને એક ઈમાનદાર દેણદાર મળ્યો છે અને એ પણ કેદી છે.
બીજલભાઈ ડાભી, જેઓ એક ખૂન કેસમાં છેલ્લા ચાર વર્ષથી લીમડીની સબ જેલમાં બંધ છે. તેમને પીએનબીની 80000 રૂપિયાની ખેતી લોન ચુકવવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુરુવારે જામીન આપવામાં આવ્યા હતા.
આ 55 વર્ષના કેદીએ સુરેન્દ્રનગર જીલ્લા ન્યાયાલયમાં જામીન માટેની અરજી કરી હતી. જણાવી દઈએ કે થોડા સમય પહેલા પીએનબી દ્વારા એમના ઘરે ખેતી લોન ચુકવવા માટે નોટીસ મોકલવામાં આવી હતી, ત્યારબાદ બીજલભાઈએ જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ તેમને જીલ્લા ન્યાયાલયમાંથી જામીન ના મળતા, હાઇકોર્ટમાં અરજી કરી હતી.
બીજલભાઈના વકીલ હાર્દિક કોઠારીના જણાવ્યા મુજબ બીજલભાઈને જાન્યુઆરી 2014માં એક ખૂન કેસ સાથે સંબંધમાં કેદ કરવામાં આવ્યા હતા. તેઓ કાચા કામના કેદી છે.
2017માં સુરેન્દ્રનગર જીલ્લાના મોટી મોરસલ ગામમાં રહેતા એમના પરિવારજનોએ 80000 રૂપિયાની ખેતી લોન પીએનબીમાંથી મેળવી હતી. ત્યારબાદ પીએનબી દ્વારા તેમને લોનની ચુકવણી માટે નોટીસ મોકલવામાં આવી હતી.
બીજલભાઈએ નીચલી કોર્ટમાં 30 દિવસના જામીન માટે અરજી કરી હતી, જેથી તેઓ દેવું ચુકવવા માટે નાણાકીય વ્યવસ્થા કરી શકે.
જોકે, ફરિયાદી પક્ષે દલીલ કરી હતી કે એમના બીજા પરિવારજનો છે જેઓ નાણાકીય વ્યવસ્થા કરી શકે છે. જીલ્લા ન્યાયાલયે દલીલ માન્ય રાખતા બીજલભાઈને જામીન આપ્યા નહતા.
જયારે કેસ હાઈકોર્ટ સામે આવ્યો, ત્યારે જસ્ટીસ એ વાય કોગ્જેએ કેદીનો ભૂતકાળનો રેકોર્ડ જોયો હતો જયારે કેદીને જામીન આપવામાં આવ્યા હોઈ અને જામીન ખતમ થતા તેઓ જેલમાં સમયસર પરત ફર્યા છે કે નહિ. બીજલભાઈનો રેકોર્ડ હકારાત્મક હતો.
હાઇકોર્ટે ગુરુવારે જેલ અધિકારીને આદેશ કર્યો હતો કે બીજલભાઈને 5000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર 7 દિવસના જામીન પર છોડવામાં આવે.