વડોદરા
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ કૌભાંડ મામલે કોંગ્રેસ ફરી વખત મેદાનમાં ઉતરી છે. ઉલ્લેખનિય છે કે, વારસીયા સંજયનગર ખાતે બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2 હજાર કરોડનાં કૌભાંડનો આરોપ લાગ્યા બાદ કામ બંધ કરી દેવામાં આવ્યું હતું.
જે બાદ થોડા દિવસ પહેલા કારોબારી સમિતિએ આવાસ યોજનાનાં કોન્ટ્રાકટર નારાયણ રિયાલીટી અને સાંઇરૂચી ડીએમસીને કામ ચાલુ કરવાની મંજુરી આપવા માટે દરખાસ્ત મંજુર કરી. ત્યારબાદ શુક્રવારે કોર્પોરેશનની મેયરની અધ્યક્ષતામાં છેલ્લી સામાન્ય સભા મળી હતી.
જેમાં કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસે મેયર સહિત ભાજપનાં તમામ કોર્પોરેટરોને આવેદનપત્ર આપી આવાસ યોજનાનું ટેન્ડર રદ્દ કરવાની માંગ કરી હતી. સાથે જ સભાગૃહ અને મેયર ઓફિસનો ઘેરાવ કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતાં.
મહત્વની વાત છે કે આવાસ યોજનાનો સમગ્ર મામલો હાલમાં કોર્ટમાં છે. આગામી 20મી જુને આવાસ યોજનાની હાઇકોર્ટમાં સુનાવણી છે. ત્યારે કોર્ટની સુનાવણી બાદ શું ચુકાદો આવે છે તેના પર સૌની નજર છે.