આંધ્રપ્રદેશના કૂરનુંલ જિલ્લામાં એક ભયાનક દૂર્ઘટના બનવા પામી છે. જેમાં કવોરી (પથ્થરની ખાણ) પાસે મોટો બ્લાસ્ટ (Blast) થવાના કારણે 15 મજૂરોના મોત નીપજ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ સાથે જ ઘણાં મજૂરો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યાં છે. મજૂરોના મૃતદેહો બોમ્બ બ્લાસ્ટના કારણે જ્યાં ત્યાં પડ્યા હતાં. જો કે મૃતકોની સંખ્યામાં હજુ વધારો શકે છે.
આ ઘટના અંગે એક તપાસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, આ ઘટનામાં માર્યા ગયેલા તમામ મૃતકો ઓડિશાના રહેવાસી હતાં અને અહીંયા કામ માટે આવ્યાં હતાં. આ વિસ્ફોટ તે સમયે થયો જ્યારે અલુરૂ મંડળ અંતર્ગત હાથી બેલગલમાં ખોદકામની કામગીરી ચાલી રહી હતી.
આ ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘પથ્થર તોડવા માટે વપરાતા સાધનમાં વિસ્ફોટ થયો તે સમયે અહિયાં ઓછામાં ઓછા 20 મજૂરો કામગીરી કરી રહ્યા હતાં. અચાનક થયેલા આ વિસ્ફોટના કારણે શ્રમિકો ફસાઇ ગયા હતા અને તેના કારણે બચવા માટે નાસભાગ મચી જવા પામી હતી.’
આ ઘટનાના પગલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ તથા નેતા વાય. એસ. જગનમોહન રેડ્ડીએ આ દૂર્ઘટના પર પોતાની શોકની લાગણી વ્યક્ત કરી હતી.
આંધ્રપ્રદેશના કૂરનુંલમાં પથ્થરની ખાણમાં થયેલા વિસ્ફોટને કારણે સ્થાનિક લોકોમાં ડર અને ભયનું વાતાવરણ ઉભું થયું છે. આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યાં છે.