- બર્મિંઘમ
વર્લ્ડ કપમાં ભારતની પહેલી હાર થઈ હતી.ઇંગ્લેન્ડ સામે ભારતનો 31 રને પરાજય થયો હતો.વર્લ્ડકપની 38મી મેચમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે ઇંગ્લેન્ડે ભારતને મેચ જીતવા 338 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.ભારતના બેટ્સમેનો રનરેટ જાળવી ના શકતા તેમની 31રને હાર થઈ હતી.
આ હાર સાથે ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ માટે હજુ એક મેચ જીતવાની રાહ જોવી પડે તેમ છે.
ભારતે વિજય શંકરની જગ્યાએ ઋષભ પંતને સામેલ કર્યો હતો.ઇંગ્લેન્ડે મોઇન અલીની જગ્યાએ લિયામ પ્લંકેટને ટીમમાં સામેલ કર્યો અને જેમ્સ વિન્સની જગ્યાએ જેસન રૉયને ટીમમાં લીધો હતો.
ટોસ જીતી પહેલી બેટિંગ લેતા ઇંગ્લેન્ડના બંને ઓપનરો એ ધમાકેદાર શરૂઆત કરી હતી.જ્હોની બેરીસ્ટ્રોએ 109 બોલમાં 111 રન કર્યા હતા,જ્યારે વર્લ્ડકપમાં પાછા ફરેલા જેસોન રોયે 66 રન કર્યા હતા. બંને ઓપનરોએ 22 ઓવરમાં 160 રન કરતા એક તબક્કે તો એવું લાગતું હતું કે ઇંગ્લેન્ડ 400 રન સુધી પહોંચી જશે.
જો કે એ પછી 10 ઓવરના ગાળામાં 3 વિકેટ પડી જતા ઇંગ્લેન્ડનો રનરેટ ઓછો થયો હતો.
સ્ટોક્સે માત્ર 54 બોલમાં 79, જૉ રૂટે 44 અને જોસ બટલરે 20 રન બનાવતા ઇંગ્લેન્ડ 337 રન સુધી પહોંચ્યું હતું.
ભારત તરફથી શામીએ 5 વિકેટ લીધી હતી.જસપ્રીત બુમરાહે ચુસ્ત બોલિંગ કરતા દસ ઓવરમાં માત્ર 44 રન આપી 1 વિકેટ લીધી હતી.યઝુવેન્દ્ર ચહલ ખર્ચાળ સાબિત થયો હતો અને તેણે 88 રન આપ્યા હતા.
ભારતની શરૂઆત નબળી થઈ હતી.ઓપનર કે એલ રાહુલ માત્ર 0 રને આઉટ થઈ ગયો હતો.જો કે એ પછી વિરાટ કોહલી અને રોહિત શર્માએ ધીરે ધીરે બાજી સંભાળી હતી અને 146 રનની ભાગીદારી કરી હતી.વિરાટ કોહલી આ વર્લ્ડ કપની 5મી અડધી સદી ફટકારી
66 રને આઉટ થયો હતો.
રોહિત શર્માએ 109 બોલમાં 102 રન કર્યા હતા.વર્લ્ડ કપમાં રોહિતની આ ત્રીજી સદી હતી.
રોહિતના આઉટ થયા પછી રિષભ પંત પણ 32 રન કરી આઉટ થયો હતો.હાર્દિક પંડયાએ 33 બોલમાં 45 રન કરી મેચને થોડી જીવંત કરી હતી.પણ આખરી ઓવરોમાં રનરેટ 15 ઉપર પહોંચતા ભારતની હાર નક્કી થઈ ગઈ હતી.મેચ વિનર ગણાતો ધોનીએ પણ છેલ્લી ઓવરોમા પણ એક એક રેન કરતા ભારતે જીતને છોડી દીધી હતી.
છેલ્લી 10 ઓવરમાં ભારતને 104 રન જોઈતા હતા પણ તેમણે 60 રન જ કર્યા હતા.ભારતે તેની ઇનિંગ્સની પહેલી સિક્સ 50મી ઓવરમાં મારી હતી.
ઇંગ્લેન્ડ તરફથી પ્લકેંટે 3 વિકેટે લીધી હતી,જયારે વોકસે 2 વિકેટ લીધી હતી.
આ હાર પછી ભારતને હવે સેમિફાઇનલમાં પ્રવેશ લેવો હશે તો શ્રીલંકા અથવા બાંગ્લાદેશ સામેની મેચોમાથી એક મેચ જીતવી પડશે.