જેમ જેમ દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોનો પ્રચાર તીવ્ર થઈ રહ્યો છે. વળી, એકબીજા વિરુદ્ધ ભાષણબાજી વધુ તીવ્ર થઈ રહી છે. ભાજપનાં સાંસદ પ્રવેશ વર્માએ સીએમ અરવિંદ કેજરીવાલની તુલના આતંકવાદી સાથે કરી હતી, જે બાદ આમ આદમી પાર્ટીએ પણ તેની પ્રતિક્રિયા આપી હતી. આ સાથે જ હવે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે સીએમ અરવિંદ કેજરીવાલને ‘આતંકવાદી’ ગણાવ્યા છે.
પ્રકાશ જાવડેકરે કહ્યું, ‘અરવિંદ કેજરીવાલ નિરાશ ચહેરા સાથે પૂછે છે કે શું હું આતંકવાદી છું? તો હા, તમે આતંકવાદી છો અને તેના પુરાવા ઘણા છે. તમે (અરવિંદ કેજરીવાલ) જાતે જ કહ્યું હતું કે, હું અરાજકતાવાદી છું… તો આતંકવાદી અને અરાજકતાવાદીઓમાં બહુ વધુ ફરક હોતો નથી. જાવડેકરનાં આ નિવેદન પર, આમ આદમી પાર્ટી ચૂંટણી પંચને ફરિયાદ કરવા જઈ રહી છે.
પ્રકાશ જાવડેકરનાં નિવેદન પર, આમ આદમી પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભાનાં સાંસદ સંજયસિંહે ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો. સંજયસિંહે કહ્યું કે, આ બધું દિલ્હીમાં થઈ રહ્યું છે જ્યાં ભાજપ કેન્દ્રમાં બેઠુ છે, ત્યાં ચૂંટણી પંચ પણ છે. સંજયસિંહે કહ્યું કે, કેન્દ્રીય મંત્રીને આવી ભાષાનો ઉપયોગ કરવાની પરવાનગી કેવી રીતે આપી શકાય? જો અરવિંદ કેજરીવાલ આતંકવાદી છે, તો હું ભાજપને તેમની ધરપકડ કરવાનો પડકાર આપુ છું.
આ અગાઉ ભાજપનાં સાંસદ પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલની તુલના આતંકવાદી સાથે કરી હતી. પ્રવેશ વર્માએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે, કેજરીવાલ જેવા નટવરલાલ અને તેમના જેવા આતંકવાદીઓ દેશમાં છુપાયેલા છે. અમારે એવું વિચારવાની ફરજ પડે છે કે અમે કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદીઓ સામે લડીએ કે કેજરીવાલ જેવા આતંકવાદીઓ સાથે લડીએ. આપને જણાવી દઈએ કે, દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર 8 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે તેના પરિણામો 11 ફેબ્રુઆરીએ આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.