@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
ચુડા તાલુકાના કારોલ ગામે બહેનના ઘરે આવેલ ઘાઘરેટીયાના યુવાનનું ધાબા ઉપરથી પસાર થતા વીજ વાયરને અડી જતા મોત નીપજ્યું હતું. કારોલના ગ્રામજનોએ અકસ્માત થવાનો ભય હોવાને કારણે વીજ લાઈન બદલાવા અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ ચુડા પીજીવીસીએલ તેમની અરજીને ઘોરીને પી ગઈ હતી. જેના કારણે નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો હતો. જયાં સુધી પીજીવીસીએલ વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં કરાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે.
લીંબડી તાલુકાના ઘાઘરેટીયા ગામના હિરાભાઈ વશરામભાઈ ચૌહાણ ચુડા તાલુકાના કારોલ ગામે તેમના બનેવી પ્રેમજીભાઈ ડાયાભાઈ પરમારના ઘરે મહેમાનગતીએ આવ્યા હતા. 11:42 કલાકે તેમના મોબાઈલ પર રાજકોટના એક મિત્રનો ફોન આવ્યો હતો. મોબાઈલ નેટવર્કમાં તકલીફ હોવાને કારણે વાત સરખી નહીં થઈ શકતા હિરાભાઈ ધાબા ઉપર વાત કરવા ગયા હતા. ધાબા નજીકથી પસાર થતા વીજ વાયરને અજાણતા અડી જતા હિરાભાઈ ચૌહાણને શોક લાગ્યો હતો. શોક લાગતા તેઓ ધાબા ઉપર જોરથી પટકાયા હતા. ઘટનાસ્થળે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. પરિવારજનોને જાણ થતા તેઓ ધાબા પર દોડી આવ્યાં હતા. જોતજોતામાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. ઘટના અંગે ચુડા પીજીવીસીએલ કચેરીમાં જાણ કરી હતી. યુવકના મોતના સમાચાર મળ્યા છતાં દોઢ કલાક બાદ પીજીવીસીએલના કર્મચારીઓ આવ્યા હતા.
પરિવારજનો મૃતદેહને લઈને ચુડા આરોગ્ય કેન્દ્રમાં આવ્યા હતા. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જ્યારે ઘટનાના જવાબદાર પીજીવીસીએલ કચેરી વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. પીજીવીસીએલ વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધાતાં પરિવારજનો સાથે ગ્રામજનો ચુડા પોલીસ કચેરીએ પહોંચી આવ્યા હતા. જયાં સુધી પીજીવીસીએલ વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારનો ઈન્કાર કર્યો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે રાત્રીના 7:30 કલાક સુધી મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો નહોતો.
પ્રગતિ સેતુ કાર્યક્રમ સહિત ચુડા પીજીવીસીએલ કચેરીમાં નારાયણ ફીડરની રહેણાંકના વિસ્તારમાંથી પસાર થતી વીજ લાઈન બદલાવા છેલ્લા 3 વર્ષમાં અનેક વખત રજૂઆત કરી છે. ભવિષ્યમાં આ સ્થળ પર અકસ્માતનો ભય થવાની ઘટનાની ગંભીરતા પણ પીજીવીસીએલને જણાવી હતી. છતાં તેમને ગંભીરતા સમજી નહીં અને એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો.
પોલીસ શું કારણે પીજીવીસીએલ વિરુદ્ધ ફરિયાદ નથી લખતી તે સમજાતું નથી. જયારે ભાઈના મોતના સમાચાર મળ્યા ત્યારથી અમે લોકોએ અન્નનો એક દાણો પેટમાં નથી નાંખ્યો. જયાં સુધી ભાઈના મોતના જવાબદારોને સજા નહીં થાય ત્યાં સુધી હું લડતો રહીશ. મારા પરિવારનો આધાર છીનવાઈ ગયો છે છતાં આ લોકો ફરિયાદ લેવાની આનાકાની કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.