માતૃત્વ : ભાવિની વસાણી,મંતવ્ય ન્યૂઝ
નવી પેઢી અને જૂની પેઢીની ટસલમાં વચ્ચેની પેઢીએ મધ્યસ્થી કરવાથી જ આવશે ખરું સમાધાન
મીનાક્ષી માટે કોરોના મહામારીના કારણે દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉનનો સમય ખૂબ જ કપરો બની ગયો હતો. તેનું મુખ્ય કારણ હતું તેના સસરાજી જયદેવ ભાઈ અને દસ વર્ષનો દીકરો રાહુલ. સાસુમાં શીલા બહેન તો તેની સાથે ઘર કામમાં બિઝી હોય ક્યારેય કોઈ સમસ્યા થતી ન હતી. પતિ મન્થન પણ કામ ધંધા માટે બહાર હોય કોઈ સમસ્યા થતી ન હતી. પરંતુ સસરાજી નિવૃત હતા તેમજ દીકરાને હાલ ઓનલાઈન એજ્યુકેશન ફરજિયાત કરવું પડી રહ્યું હતું. એવામાં દાદા અને પૌત્ર વચ્ચે ટેલિવિઝનના કાર્યક્રમો જોવા બાબતે અનેક વખત રકઝક થતી હતી. મીનાક્ષીને પણ અગાઉ ટેલિવિઝન જોવાનો શોખ હતો તે હવે ઘરની જવાબદારીમાં વિસરાઇ ગયો હતો. પરંતુ દાદા અને પૌત્ર વચ્ચે ટેલિવિઝન કાર્યક્રમ જોવા માટે રોજરોજની ચડસાચડસી જોઈ અને ઘણી વખત મીનાક્ષી અને તેના સાસુમાં અકડાઈ જતા હતા કરવું તો શું કરવું ? સસરાને જેટલું કહી શકાતું હોય તેટલું જ કહેવાય અને દીકરાને વધારે પડતું ખીજાવવાથી તેને વિપરિત અસર પડતી હોય તેવું લાગી રહ્યું હતું. ચાલો જાણીએ કે શું કર્યું મીનાક્ષીએ અને તેના સાસુમાએ ?
શરૂઆતના દિવસોમાંતો મીનાક્ષી અને તેના સાસુમા શીલા બહેન બંનેએ પોતપોતાની રીતે પ્રયત્નો કરી જોયા. ત્યારબાદ મીનાક્ષીના પતિ એટલે કે સાસુમાના પુત્ર મન્થનની સલાહ લઇ સસરા જયદેવ ભાઈને સાસુમા સમજાવતા અને જણાવતા કે હવે તમારી ભક્તિની ઉંમર છે શક્ય હોય તેટલું ઓછું ટીવી જુઓ અને પૌત્ર રાહુલ ભણતો હોય અને અહીં હાજર ન હોય ત્યારે તેની ગેરહાજરીમાં તમારે ટીવી જોઈ લેવું અને જ્યારે તે આવે ત્યારે તેને રીમોટ આપી દેવું. દીકરાને મીનાક્ષી સમજાવતી કે દાદાની ખૂબ જ મોટી ઉંમર છે, તેઓ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે તેઓ પોતાનો સમય પસાર કઈ રીતે કરે ? માટે દીકરા તારે તને ગમતા કાર્ટુન જોઈ લેવા ત્યારબાદ દાદાને રીમોટ આપી દેવું રોજ રોજ આ બાબતમાં માથાકૂટ સારી ન લાગે. અને તારે જોવું હોય તો રાત્રે મમ્મી અને દાદી ‘કોન બનેગા કરોડપતિ’ જોતા હોય ત્યારે પણ તું જુએ છેને બેટા એટલે તારા ટીવી જોવાના કલાકો વધારે જ થઈ જાય છે. માટે દાદાને તારે હેરાન ન કરવા. પરંતુ બંને પક્ષે કોઈપણ સમજાવટ બાબતમાં પથ્થર પર પાણીઢોળ બરાબર થતું હતું.
મીનાક્ષી અને તેના સાસુમાં શીલા બહેન રસોઈ કરતાં કરતાં આ બાબતને લઈને ગંભીરતાથી વાતચીત કરી રહ્યા હતા કે આ બાબતનો ઉકેલ લાવવો જરૂરી છે, કારણ કે ઓનલાઈન એજ્યુકેશનમાં લેપટોપ સ્ક્રીન સામે ભણ્યા બાદ વધારે પડતું ટીવી જોવું રાહુલની આંખો માટે સારું નથી. કોરોનાના ડરથી બહાર લઇ જવામાં પણ જોખમ રહેલું હોય છે, ઉપરાંત તેના વર્તનમાં પણ ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા હતા. દીકરાના માનસિક સ્વાસ્થ્ય સામે બે પ્રકારનું જોખમ જોવા મળી રહ્યું હતું. એક તો કોઈનું કહ્યું માનતો ન હતો દાદાની સામે પણ બોલતો થઈ ગયો હતો, જેથી ઘરનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું હતું. બાળકને વધારે પડતું ટીવી જોવા માટે ના પાડવામાં આવે છે જ્યારે ઘરમાં વડીલ વધારે ટીવી જોતા હોય તો તેને ઓછા કલાક ટીવી જોવાનું કહેવાથી ખરાબ અસર થાય એમ હતું, જ્યારે સસરાજી જયદેવ ભાઈને સવારે ઉઠીને સીધું ટીવી જોવા જોઈતું હતું. કારણકે હવે તો ભક્તિ પણ ટીવી જોઈ અને થઈ રહી છે. સસરાજી ધાર્મિક તેમજ જ્યોતિષના કાર્યક્રમો રોજ ટીવીમાં જોતા હતા. આ ઉપરાંત સ્વાસ્થ્યને લગતા યોગના કાર્યક્રમો નિહાળતા તેમજ જાતજાતની ન્યુઝ ચેનલ ઉપર ન્યુઝની ભરમાર તેમાં પણ કોરોનાને લઇને મોતના આંકડા તેમજ રિકવરી રેટ જાહેર કરવામાં આવે એટલે વડીલોને ચિંતા થાય અને જોવા માટે પણ ઉત્સુકતા થાય તે સ્વાભાવિક છે. પરંતુ ટીવી જોવાના કલાકો એટલા બધા વધી જતા હતા કે આ મામલે ટીવી બંધ થાય તો જ ખરેખર સમસ્યાનો ઉકેલ આવે.
બંને પક્ષે બંને પાત્રોને સમજાવવાના પ્રયત્નો બધા જ નકામા જઈ રહ્યા હતા ત્યારે મીનાક્ષી અને તેના સાસુમાં શીલા બહેન દ્વારા એક વખત નક્કી કરવામાં આવ્યું કે દાદા અને પૌત્ર બંને વચ્ચે ઘર્ષણ ન થાય તે બાબતનું ધ્યાન રાખવું. બાકી ટીવી બંધ કરવા માટે બંનેમાંથી કોઈને કહેવું નહીં. જેથી ટીવી થાકીને બંધ થઈ જાય અને પછી રીપેરીંગનો ખર્ચો આવે ત્યારબાદ બન્નેને બોધપાઠ ગળે ઉતારી શકાય. અને બન્યું પણ એવું જ કે ટીવી બંધ થઈ ગયું. મેઈન સ્વિચ ચાલુ કર્યાના એક બે કલાક બાદ ટીવી તપી ગયા બાદ જ ચાલુ થતું. આવું એક અઠવાડિયું થયું હશે ત્યારબાદ તે પણ બંધ થઈ ગયું.
પહેલા તો મીનાક્ષી અને તેના સાસુમાં શીલા બહેને દાદા અને પૌત્રને કહ્યું કે હવે ટીવી રીપેર જ કરવું નથી, કારણકે તમે બંને સમજતા નથી. પરંતુ પછીથી ટીવી રીપેરીંગ કરનારને ફોન કરી અને બોલાવવામાં આવ્યા.
ટીવી રીપેરીંગનું કામ કરતા મનીષભાઈએ જણાવ્યું કે ટીવી તેમની સાથે લઈ જવું પડશે અને અંદરથી ખોલીને જોવું પડશે ત્યારબાદ કેટલો ખર્ચો થશે તે ખબર પડશે. ટીવી બગડવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ આઈટમ એક-દોઢ કલાકથી વધારે સમય ચાલુ રહે તો તેની બેટરી અને પાવરમા અસર થાય છે. ટીવીમાં પાવરનો પ્રોબ્લેમ છે તેનું મુખ્ય કારણ વધારે કલાકો ટીવી ચાલે ચાલુ રહેતું હશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે કોઈ ઇનર પાર્ટ બદલવાના હશે તો તેઓ ફોન કરી અને જણાવશે કે કેટલો ખર્ચો થશે ? બે-ત્રણ કલાક બાદ તે ભાઈએ ફોન કરીને જણાવ્યું કે 2,200 રૂપિયાનો ખર્ચ થશે. હવે, મીનાક્ષી અને તેના સાસુમાં દ્વારા આ ખર્ચ કરવો કે નહીં તે અંગે ઘરમાં ચર્ચા કરવામાં આવી અને ટીવી રીપેરીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પરંતુ ઘરના બધા પાસેથી ટીવી એક દોઢ કલાકથી વધારે સમય એકધારું ન જોવા માટે પ્રોમિસ લેવામાં આવ્યું. એટલું જ નહીં કોણ કયા કાર્યક્રમો ટીવીમાં નિહાળશે તેનો સમય નિશ્ચિત કરી સમયપત્રક બનાવી અને ટીવીની બાજુની દીવાલ પર લગાડી દેવામાં આવ્યું છે. મીનાક્ષી અને તેના સાસુમાં શીલા બહેન તો એટલું બધું ટીવી જોતા ન હતા, છતાં પોતાના નામ પણ લખ્યાં. જેથી દાદાને અને પૌત્રને એવું ન લાગે કે આ નિયમ તેમના માટે બનાવવામાં આવ્યો છે.
હવે ધીમે ધીમે દાદાને અને પૌત્રને બંનેને ટીવી જોવાની આદત ઘણી ઓછી થઈ ગઈ છે, અને ઘરમાં શાંતિ થઈ ગઈ છે. આખા દિવસમાં ટીવી સવાર, બપોર અને સાંજ મળીને કુલ સાડાચાર કલાક ચાલુ રહે છે જે પણ ખૂબ વધારે કહેવાય તો અગાઉ કેટલા કલાક ટીવી ચાલુ રહેતું હશે ? આ સમસ્યા કોઈ એક ઘરની નથી દરેક ઘરની છે. જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે જ્યારે ઘર્ષણ થાય ત્યારે મધ્યસ્થ પેઢીએ સમયસર મધ્યથી કરવી પડે છે, અને જો સમયસર ચેતવામાં ન આવે કે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ન આવે તો તેના પરિણામ ખૂબ જ ખરાબ આવી શકે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…