અમદાવાદની તમામ હોસ્પિટલ હાઉસફૂલ અને 400 કોરોનાં દર્દીઓનું 108માં વેઈટિંગ, જરૂર લાગે તો જ દાખલ થાઓ- નીતિન પટેલ
@ભાવેશ રાજપૂત, અમદાવાદ
ગુજરાતમાં કોરોનાની સ્થિતી વકરી રહી છે. એક તરફ હોસ્પિટલમા બેડ ભરાઈ ચુક્યા છે અને નવા દર્દીઓની સંખ્યા દરરોજ વધતી જાય છે તેવામાં અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી 1200 બેડ હોસ્પિટલ ભરાઈ ચુકી છે. તેવામાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ મેડિસીટી સિવિલ હોસ્પિટલ કેમ્પસની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં યુ.એન મહેતા હોસ્પિટલમાં ઉચ્ચ અધિકારીઓ સાથે પથારીની વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. નીતિન પટેલે મુલાકાત દરમિયાન જણાવ્યું કે ગુજરાતમા દર્દીઓની સંખ્યા વધી રહી છે જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોર ગ્રુપની સૂચના પ્રમાણે કામગીરી ચાલી રહી છે. ત્યારે તંત્રની તૈયારી સામે દર્દીઓની સંખ્યા રોજ બરોજ વધી રહી છે. અને લોકોની પણ જરૂરિયાત વધી રહી છે. હાલ જ્યાં બને તેમ બેડની વધુ વ્યવસ્થા ઉભી કરવાનું અભિયાન સરકાર દ્વારા હાથ ધરાયુ છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુલાકાત કરી અને વધુ બેડ ઉભા કરવા સંકલન કર્યું. કોરોનાનો આ વેવ ખૂબ ઝડપથી વધતા ક્ષમતા કરતા વધારે બેડની વ્યવસ્થા વધારવાનું કામ તંત્ર કરતું હોવાનો દાવો કરતા યુ.એન મહેતાની હોસ્ટેલમા ઓક્સીજન તેમજ આઈસીયુ સાથેનાં 160 બેડની વ્યવસ્થા કરી વેઇટિંગમા ઉભેલા 108ના દર્દીઓને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવ્યું. મેડિસીટી કેમ્પસમાં કુલ 240 બેડ વધારવામાં આવ્યા. શનિવારથી રવિવાર સુધીમાં 399 દર્દીઓ 1200 બેડમા દાખલ કરવામાં આવ્યા જે ખૂબ મોટો આંકડો છે અને સાથે સાથે 30 એમ્બ્યુલન્સ હજુ પણ વેઈટિંગમાં રહેતી હોવાની પરિસ્થિતિ સ્વીકારી. 108 માં હજુ પણ 300 થી 400 કોલ વેઇટિંગમા હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું. જેથી આજથી જ વેઈટિંગનાં દર્દીઓને સારવાર માટે આ હોસ્પિટલમાં દાખલ કરવાનુ સૂચન કર્યુ હતુ. સીવીલની બહાર લાગતી 108 ની લાઈનો શોભતી ન હોવાનું કહી તેને મહામારી ગણાવી. માં કાર્ડ પર સારવાર માન્યતા પ્રાપ્ત થયેલ હોસ્પિટલમાં જ થાય છે પરંતુ આ નિર્ણય કેન્દ્ર સરકાર કરી શકે છે. તો બીજી તરફ પંચમહાલના ઘોઘંભા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ દ્વારા લગ્નમાં ભીડ કરવા મામલે પોલીસ કાર્યવાહી કરશે તેવી બાયંધરી આપી હતી.
બીજી તરફ નાયબ મુખ્યમંત્રીએ વેપારીઓએ કરેલા સ્વયંભૂ લોકડાઉનના વખાણ કર્યા હતા, લોકોને અપિલ કરતા તેઓએ જણાવ્યુ હતુ કે ઓક્સીજન લેવલ ઓછુ હોય અને હોસ્પિટલમાં સારવારની જરૂર લાગે તો જ હોસ્પિટલમાં દાખલ થાઓ. જરૂર ન લાગે ત્યાં સુધી હોમ આઇસોલેશનમાં રહીને કોરોનાની સારવાર લેવા તેઓએ અપિલ કરી હતી. અત્યારની સ્થિતીમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા તબીબો અને પેરામેડિકલ સ્ટાફની કામગીરીને તેઓએ અભિનંદ આપ્યુ હતુ અને આવનારા સમયમાં કોરોનાના નવા કેસ આવશે તો તેની સામે ગુજરાત સરકારની તૈયારીઓ કરી રહ્યુ છે તેવુ જણાવ્યુ હતુ.