તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે સમગ્ર રાજ્યની એસટીના પૈડા થંભી ગયા છે.વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પરિવહન સેવા સંપૂર્ણ બંધ રાખવાનો રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે નિર્ણય કર્યો છે. ટાઉતે વાવાઝોડાના પગલે એસટી બસ સેવા સમગ્ર રાજ્યમાં બંધ રહેશે. બીજા દિવસે વાવાઝોડામાં રાહતકાર્ય માટે એસટી બસ ફાળવાઇ છે.
તાઉ-તે વાવાઝોડાની અસરને પગલે બનાસકાંઠા જિલ્લામાં તમામ બસ રૂટો આજે બપોરથી બંધ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાના 14 તાલુકાઓમાં 650થી પણ વધુ રૂટની બસો સ્થગિત કરી દેવામાં આવી છે. અચાનક બસો બંધ થઈ જતા અનેક મુસાફરો અટવાઈ પડ્યા હતા. હિંમતનગર ડિવિઝનના 515 બસના પૈડા થંભી ગયા છે. જીલ્લા ભરમાં જતી તમામ બસો બંધ કરાઈ છે.
વાવાઝોડાની અસર સૌથી વધારે અમરેલી, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, મહુવામાં જોવા મળી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં પવન સાથે 8 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગીર ગઢડામાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડનાં ઉંમરગામમાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો હતો.વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. વાવાઝોડાની અસરથી શહેરમાં ઠેરઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પ્રથમ વરસાદમાં જ અમદાવાદમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ જવાના રસ્તે પાણી ભરાયા છે. આ સિવાય પાણી ભરાઇ જતા મીઠાખળી અને અખબારનગર અંડર પાસ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ અત્યાર સુધી સરેરાશ પોણા 3 ઇંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.