રાજ્યમાં આપઘાતના કિસ્સામાં ખુબજ ઉછાળો આવ્યો છે. જે ખુબજ ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી મહાનગરો અને સામાન્ય નગરોમાં પણ ઘરકંકાસ , બેરોજગારી , બીમારી , પ્રેમ પ્રકરણ મામલે સુસાઇડના માર્ગ ઉપર જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. જેના કારણે સરકારના ધબકારા સતત વધતા જઈ રહ્યા છે.
તાજેતરની જો વાત કરીએ તો , હળવદ તાલુકાના શિરોઈ ગામે અંતરિયાળ ખીણ વિસ્તારમાં આજે હળવદ અને શિરોઈ ગામના બે મામા-ફોઈના ભાઈઓએ ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાત કરી લેતા ઠાકોર સમાજમાં ઘેરો શોક છવાયો છે અને હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા પ્રાથમિક તારણમાં પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હળવદ પંથકમાં સનસનાટી જગાવનાર મામા-ફોઈના બે ભાઈઓના આપઘાત પ્રકરણ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના શિરોઈ ગામના ખીણ વિસ્તારમાં બે યુવાનોના મૃતદેહો પડ્યા હોવાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતક યુવાનોમાં હળવદ ખારીવાડી વિસ્તારમાં રહેતા હિતેશભાઇ પ્રેમજીભાઈ બાબરીયા (ઉ.28) અને નવા શિરોઈ ગામે રહેતા લાલાભાઇ પોપટભાઈ પાટડીયા (ઉ.28) હોવાનું બહાર આવ્યું છે.
વધુમાં બન્ને યુવાનોએ ઠંડા પીણામાં ઝેરી દવા મિલાવી પી લીધી હોવાનું અને આ મોત પાછળ બે સ્ત્રીઓ અને બે પુરુષોએ અગાઉ મૃતકને માર મારતા આ પગલું ભરી લીધું હોવાનો આક્ષેપ મૃતકના ભાઈએ લગાવ્યો છે. ઘટના અંગે હાલ પોલીસે એડી નોંધી વિશેષ તપાસ શરુ કરી છે.