ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે તમામ પાર્ટીઓ પ્રચાર અર્થે તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે,રાજ્યની ઝોન મુજબ રાજકીય પાર્ટીઓ વિશ્લેષણ કરતી હોય છે અને આ મુજબ તેઓ સમીકરણ બેસાડતા હોય છે અને સોશિયલ એન્જિનયરીંગ ગોઠવતા હોય છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલાશે કોને લાભ થશે તે તો ચૂંટણી સમયે જ ખબર પડશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે. જોકે ચૂંટણી પંચ દ્વારા તારીખોની સત્તાવાર જાહેરાત થાય એ પહેલાં ચૂંટણી પ્રચારમાં કોઇ પણ પાછળ રહ્યો નથી. એક વર્ષ પહેલા આખેઆખી સરકાર બદલીને પાટીદાર મુખ્યપ્રધાનને ગુજરાતની ગાદીએ બેસાડવા સાથે ભાજપ ચૂંટણી મેદાનમાં આવી ગયો હતો. તો કોંગ્રેસ પણ કોઇ શોર મચાવ્યાં વિના જગદીશ ઠાકોરના આગમન બાદ તળના લોકો સુધી સંપર્કો શરુ કર્યાં હતાં. આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં નોંધપાત્ર સફળતા મેળવા બાદથી ગુજરાત પર ધ્યાન આપવાનું શરુ કર્યું હતું. ઉત્તર ગુજરાતની 32 બેઠકો પર રાજ્કિય સમીકરણ શું છે તે અંગે જાણીશું.
ઉત્તર ગુજરાતમાં કુલ છ જિલ્લાના વિસ્તારમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાનો સમાવેશ થાય છે. મહદઅંશે સમગ્ર વિસ્તાર પાટીદાર,ઓબીસી તથા દલિત અને આદિવાસી વોટબેંક ધરાવે છે.ઉત્તર ગુજરાત વિધાનસભા બેઠકોની ડેમોગ્રાફી ઉત્તર ગુજરાતમાં વિધાનસભા બેઠકોની વાત કરીએ તો કુલ 182માંથી કુલ 32 બેઠક આવે છે. તેમાં બનાસકાંઠામાં 9, પાટણમાં 4, મહેસાણામાં 7, સાબરકાંઠામાં 4, અરવલ્લીમાં 3 અને ગાંધીનગરમાં 5 બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકોમાં ભાજપને 14 બેઠક, કોંગ્રેસને 17 બેઠક અને એક અપક્ષ પાસે છે.
ચૂંટણી પંચે જાહેર કરેલી આખરી યાદી પ્રમાણે ઉત્તર ગુજરાતની 32 બેઠકો પર કુલ મતદારોની સંખ્યા 86,53000 છે. જેમાં 44,58000 પુરુષ મતદારો છે અને 41,93000 મહિલા મતદારો છે.ઉત્તર ગુજરાતની બેઠકોનું ગણિત ઉત્તર ગુજરાતમાં બે સમાજનો રોલ ખૂબ મોટો હોય છે એક પાટીદાર અને બીજો ઓબીસી સમાજ. વર્ષોથી પાટીદાર સમાજનો 80 ટકા વર્ગ ભાજપ સાથે છે અને 20 ટકા કોંગ્રેસ સાથે છે. એવી જ રીતે ઠાકોર સમાજ ઓબીસીમાં આવે અને તેમનો સમાજ 80 ટકા કોંગ્રેસ સાથે અને 20 ટકા ભાજપ સાથે છે. દલિત સમાજની વાત કરીએ તો આ મતદારવર્ગ ભાજપ સાથે અને રોહિત સમાજ કોંગ્રેસ સાથે છે. ઉત્તર ગુજરાતનું આ રીતનું રાજકીય જ્ઞાતિ સમીકરણ છે. આને ધ્યાને લઇને રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને ટિકીટ આપે છે.
મહેસાણા જિલ્લામાં કુલ મતદારોમાં 42 ટકા જનરલ કેટેગરીના 38 ટકા ઓબીસી કેટેગરીના અને 20 ટકા અન્ય જાતિની કેટેગરીના મતદારો છે. ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્યમા્ પણ કોંગ્રેસ પરંપરાગત ઓબીસી અને દલિતસમાજના મતદારોનો સહકાર મેળવે છે.પાટણમાં પાટીદારોમાં અનામત આંદોલનની અસરને લઇને 2017ની ચૂંટણીથી કોંગ્રેસને સાથ મળ્યો છે. સાબરકાંઠામાં સૌથી વધુ પ્રભુત્વ ક્ષત્રિય પાટીદાર તેમજ ક્ષત્રિય સમાજનું છે. તો એમુક બેઠક પર સૌથી વધુ મતદારો આદિવાસી છે. જાતિ સમીકરણોની રીતે અરવલ્લીમાં પણ ઠાકોર સમાજની વસ્તી વધુ છે. સાથે લેઉઆ, કડવા અને કચ્છી પટેલોની વસ્તી નોંધપાત્ર છે. તો મોડાસામાં કુલ મતોના 10 થી 11 ટકા અને મેઘરજમાં લધુમતી મતો કુલ મતોના 7 થી 8 ટકા હોવાનું અનુમાન છે. મેઘરજમાં ખ્રીસ્તી સમુદાયના લોકોનો પણ સમાવેશ થાય છે.કુલ મળીને પાટીદારો અને ઓબીસી સમાજ તેમજ અન્ય સમાજ એવું જાતિગત ગણિત બેસે છે.
ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં કુલ છ જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરની કુલ 32 બેઠકમાંથી મહત્ત્વની બેઠકો વિશે જોઇએ તો બનાસકાંઠામાં કુલ 9 બેઠકો છે. વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દીઓદર અને કાંકરેજનો સમાવેશ થાય છે. 2017માં 3 બેઠક પર ભાજપ, 5 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષની જીત થઈ હતી એટલે કે પાટીદારોનો ઝોક કોંગ્રેસ તરફ હતો બાકી અન્ય ઓબીસી અને દલિત તથા લઘુમતી મતો કોંગ્રેસ તરફે રહ્યાં હતા.