નવી દિલ્હી,
કેન્દ્ર સરકાર દ્વારા ઈસ્લામના બહુચર્ચિત એવા ટ્રિપલ તલાકની પ્રથા રદ્દ કરવામાં આવી છે, ત્યારે હવે આગામી સમયમાં હવે નિકાહ હલાલાની પ્રથા રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રથાને રોકવા માટે પ્રથમ તબક્કે સરકારે કોર્ટનો સહારો લેવાનો નિર્ણય કર્યો છે.
કાયદા મંત્રાલયના એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યુ હતું કે, “સરકાર સુપ્રીમ કોર્ટમાં નિકાહ હલાલા પ્રથાનો વિરોધ કરશે તેમજ કોર્ટને આ પ્રથાની કાયદાકીય મંજુરી અંગે તપાસ કરશે”.
વ્યક્તિને તલાકસુદા પત્ની સાથે લગ્ન કરવા મંજુરી આપે છે નિકાહ હલાલા
ઉલ્લેખનીય છે કે, નિકાહ હલાલા મુસ્લિમોની એક પ્રથા છે, જેમાં આ સમુદાયના કોઈ પણ વ્યક્તિને તલાકસુદા પત્ની સાથે ફરી લગ્ન કરવાની મંજુરી આપે છે. મંત્રાલયના અધિકારીઓનુ કહેવુ છે કે, સરકારનું માનવું છે કે આ પ્રથા લૈગિંક સમાનતાનો ભંગ કરે છે.
સરકારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પોતાનુ વલણ સ્પષ્ટ કર્યુ છે. જો કે, ત્યારે કોર્ટે માત્ર ટ્રિપલ તલાક મુદ્દે સુનાવણીનો નિર્ણય કર્યો હતો. જ્યારે નિકાહ હલાલા અને બહુવિવાહ પ્રથા પર પાછળથી સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો.
ગત માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટે નિકાહ હલાલા અને બહુવિવાહ પ્રથા મુદ્દે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી.
અધિકારીઓનું કહેવુ છે કે, સરકારનુ વલણ સ્પષ્ટ છે. તે આ પ્રથાનો વિરોધ કોર્ટમાં નોંધાવશે.
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ટ્રિપલ તલાક પ્રથાને ગેરબંધારણીય ગણાવી હતી. તેમજ સરકારને આ મુદ્દે દંડનાત્મક કાયદો બનાવવા તાકીદ કરી હતી. ત્યારબાદ સરકારે તે મુદ્દે કાયદો પણ તૈયાર કર્યો છે જે લોકસભામાં પાસ થઈ ચુક્યો છે. પરંતુ તે રાજ્યસભામાં પડતર છે. આ કાયદો ટ્રિપલ તલાકને એક ફોજદારી ગુનો ગણાવી તે બદલ ૩ વર્ષ જેલની સજાની જાગવાઈ ધરાવે છે.