અમદાવાદ
અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પાસે વધુ એક ભૂવો પડ્યો છે. પાંચ મીટર જેટલો ઉંડો આ ભૂવો ઊંડો છે. એટલે કે લગભગ 15 ફૂટ ઊંડો છે. આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ તો નથી. પરંતુ લોકો માટે ભયનું કારણ જરૂર બની ગયું છે.
શહેરના પોશ વિસ્તાર શ્યામલ ચાર રસ્તા પાસે રવિવારે સાંજના સમયે અચાનક ભૂવો પડી ગયો હતો. આ ભૂવો પડવાના કારણે શ્યામલથી પ્રહલાદનગર જતો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો. જેથી શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. રવિવાર હોવાથી શહેરીજનો પરિવાર સાથે ફરવા નિકળ્યા હતા પણ ભૂવાના કારણે ટ્રાફીક જામમાં ફસાઈ ગયા હતા.
પ્રથમ વરસાદ પછી શહેરભરમાં 10થી વધુ મોટા ભૂવા પડ્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં દર વર્ષે 150 લોકો ભૂવાના કારણે મોતને ભેટે છે. 2017માં ગુજરાતમાં રોડના ભૂવાને લીધે 228 મોત થયા હતા. જેથી શહેરમાં થોડા વરસાદમાં ભૂવા પડવા ચિંતાની બાબત છે.
અગાઉ શ્યામલ ચાર રસ્તાથી થોડા જ નજીક એટલે જીવરાજ ચાર રસ્તા પર ભૂવો પડ્યો હતો. ભૂવાની આસપાસ આડશ મૂકી દેવાઈ છે. આ ભૂવો પૂરાતા ચારથી પાંચ દિવસ લાગી શકે છે. મહત્વનું છે કે શહેરમાં બે દિવસમાં આ છઠ્ઠો ભૂવો પડ્યો છે. એમ લાગે છે કે અમદાવાદ ભૂવાઓનું શહેર બની ગયુ છે.