પાટણના સિદ્ઘપુર નજીક કાર અને આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા. જેથી પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ધારેવાડાના પાટીયા નજીકથી કાર પસાર થઇ રહી હતી. આ દરમિયાન પૂરઝડપે આવી રહેલા આઇસર ટ્રકચાલકે ડિવાઇડર કૂદાવી હતી. જેથી કાર સાથે આઇસર ટ્રક ધડાકાભેર ટકરાઇ હતી. તેને કારણે કારમાં સવાર બે લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનુ્ં મોત નિપજ્યું હતું. તદુપરાંત વધુ એકને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કારમાં સવાર લોકો રાજસ્થાનથી પરત અમદાવાદ ફરી રહ્યા હતા. તે દરમિયાન આ કાળનો કોળિયો બન્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મૃતક અમદાવાદના હાર્ટ સ્પેશાલિસ્ટ ડોકટર હતા. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.