અમદાવાદ,
20 જુલાઈ 2018.
અમદાવાદની ભવન્સ કોલેજમાં કોમર્સના એડમિશન મામલે ઘોટાળો જોવા મળ્યો છે. પ્રવેશ માટેની ઓફલાઈન પ્રક્રિયામાં 126 જેટલા વિદ્યાર્થીઓને મેરીટ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા હતા, જેની સામે માત્ર 62 સીટ જ હતી. આ તમામ વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા એડમિશન ન ફાળવાતા તેઓ NSUI ના કાર્યકર્તા સાથે યુનિવર્સીટીના કુલપતિને સૂત્રોચાર કરીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના ભાવિ ન બગડે તે માટે કુલપતિ દ્વારા તપાસ કમિટી નિયુક્ત કરીને ન્યાય આપવાનું આશ્વાશન અપાયું હતું.
આ મુદ્દે NSUI પ્રભારી ફરાન ખાને જણાવ્યું હતું કે,
“ગઈ કાલે ભવન્સ કોલેજમાં મેરીટ બહાર પડ્યું હતું. જેમાં 126 વિદ્યાર્થીઓને ઓફલાઈન એડમિશનના મેરીટમાં નામ આવ્યું હતું. પરંતુ કોલેજ માત્ર 62 વિદ્યાર્થીઓની સીટની સંખ્યા જ ધરાવે છે. આથી કોલેજના પ્રિન્સિપાલે યુનિવર્સીટીના નિયમોનું ભંગ કર્યું છે. જયારે વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ પ્રશાસનના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ જેવા વિવિધ અધિકારીઓને આ મુદ્દે પૂછવામાં આવે છે ત્યારે તેમને કોઈ સ્પષ્ટ જવાબ નથી મળતો. જેના કારણે કુલપતિને આ મુદ્દે જાણ કરવામાં આવી હતી. જેની પ્રતિક્રિયા રૂપે કુલપતિશ્રી એ જણાવ્યું હતું કે આ મુદ્દે વધુ તાપસ અર્થે કમિટીની રચના કરવામાં આવશે અને જેટલી પણ સીટો ખાલી છે તેનું ફરીથી મેરીટ બહાર પડવામાં આવશે અને વિદ્યાર્થીઓને નિયમાનુસાર એડમિશન આપવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યું છે.”
જ્યારે મેરીટમાં આવેલા વિદ્યાર્થી ફનાનને આ મુદ્દે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે,
“મેં ઓફલાઇન પ્રોસેસમાં એડમિશન લીધું હતું, જેમા SEBC માં મારું નામ આવ્યું હતું. કોલેજમાં 62 વિદ્યાર્થીઓની સીટ ઉપલબ્ધ હોવા છતાં 126 સીટો મેરીટમાં ફાળવણી કરવામાં આવી છે. આ કારણે વિદ્યાર્થીઓ જયારે કોલેજમાં એડમિશન લેવા જાય છે ત્યારે તેમને એડમિશન આપવામાં આવતા નથી, અધિકૃત અધિકારીઓ કોલેજમાં ઉપલબ્ધ નથી જેના કારણે વિદ્યાર્થીઓને સ્પષ્ટ જવાબ આપવામાં આવતા નથી. આથી વિધાર્થીઓએ ન્યાય મેળવવા માટે અંતે NSUI નો સંપર્ક સાધ્યો હતો. આથી અમારો અવાજ કુલપતિ સુધી પહોંચ્યો હતો અને કુલપતિએ આ મુદ્દે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.”
આપને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં વિવિધ કોલેજોમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ભવન્સ કોલેજ ખાતે પણ કોમર્સનું મેરીટ બહાર પાડવામાં આવ્યું. જ્યારે આ મેરિટના આધારે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે કોલેજ પર પહોંચ્યા હતા ત્યારે વાસ્તવિકતા કઈંક અલગ જ નજરે આવી હતી. વિદ્યાર્થીઓ જયારે કોલેજ પહોંચ્યા ત્યારે મેરીટ લિસ્ટમાં નામ હોવા છતાં એડમિશન ન મળતા વિદ્યાર્થી અને વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને કોલેજ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.
જેના મુદ્દે પ્રશાસન તરફથી ન્યાય મેળવવા માટે વિદ્યાર્થીઓએ NSUI નો સંપર્ક સાધ્યો હતો. જેના પર કાર્યવાહી કરવા અર્થે ગઈ કાલે NSUI કાર્યકર્તાઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપાલને રજુઆત કરવા જતા કોઈ પણ સ્ટાફ કે પ્રિન્સિપાલ જોવા ન મળ્યા અને પ્રિન્સિપાલ ઓફિસ પર તાળું જોવા મળ્યું હતું. આ ઘટના બાદ પ્રિન્સિપાલને મેસેજ તથા કોલ કરવામાં આવ્યા પરંતુ કોઈ પણ પ્રકારનો સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો.
જયારે આ મુદ્દે યુનિવર્સીટીના કુલપતિશ્રી હિમાંશુ પંડ્યાને જાણ કરવામાં આવી હતી ત્યારે તેમને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે આ મુદ્દે વધુ તપાસ માટે કમિટીની રચના કરવામાં આવશે અને પ્રશાસન પર કડક કાર્યવાહી કરવામાં આવશે.