લંડન
ચિંતા એક એવી મોટી બિમારી છે, જે ધીમે-ધીમે વ્યક્તિના શરીરને ખોખલો કરી દે છે. ચિંતાના કારણે વ્યક્તિની વિચારવાની અને સમજવાની શક્તિને માઠીઅસર થાય છે. તે શું કરે છે, ક્યાં જાય છે, શું ખાય તે તેની કોઈ જ ખબર નથી રહેતી. ઘણીવાર તો વ્યક્તિ ચિંતાથી એટલી હદે ઘેરાઈ જાય છે કે તે ચાલતા-ચાલતા ખોટા રસ્તે ચાલ્યો જાય છે. જો તમારી સાથે પણ આવુ કંઈક થઈ રહ્યું છે તો આના માટે જવાબદાર તમે નહીં પરંતુ તમારું મગજ છે.
આપને જણાવી દઈએ કે,તણાવના કારણે લોકોનું મગજ તેમને ખોટી દિશામાં કામ કરવા માટે પ્રેરીત કરે છે. યુનિવર્સિટી ઓફ કેન્ટની ડોક્ટર મારિયો વીકે પ્રથમવાર મગજના બે ભાગ (ગોલાર્ધો)ની એક્ટિવીટીને વ્યક્તિના આગળ વધનારા ફેરફાર સાથે જોડ્યા છે. આ સંશોધન માટે સંશોધકોએ કેટલાક લોકોની આંખો ઉપર પટ્ટી બાંધીને તેમને એક રુમમાં સીધા ચાલવા માટે કહ્યું. જેમની ઉપર આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેઓ પહેલાથી જ આ રુમ અંગે જાણકાર હતા.
સંશોધકોને આ અંગે પુરાવા મળ્યા કે, જે લોકો અસામાન્ય અને ચિંતાગ્રસ્ત સ્થિતિથી પસાર થઈ રહ્યા હતા તેઓ ખોટી દિશામાં ચાલ્યા ગયા, જેનું કારણ તેમના મગજમાં અન્ય વિચારો ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આ સંશોધનમાં જાણવા મળ્યું કે, મગજના આ બે ભાગો સાથે અલગ-અલગ પ્રેરક સિસ્ટમની સાથે જોડાયેલા છે.