અમદાવાદ,
વીજ ચોરીના કેસમાં મુદતે હાજર ન રહેતાના 100 વર્ષિય વૃદ્ધને કોર્ટે જેલના હવાલે મોકલી આપ્યાં હતાં. જો કે, ત્યારબાદ આરોપીએ વયોવૃદ્ધ છે, બિમાર છે સહિતના મુદ્દા રજૂ કરી જામીન અરજી કરી હતી. જેલમાં ગયાના પાંચમાં દિવસે કોર્ટે મહિલા આરોપીની ચોક્કશ શરતોને આધારે જામીન અરજી ગ્રાહ્ય રાખતા તેઓ જેલમાંથી મુક્ત થયા છે.
આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, જે મુદ્દા આગળ ધરી તેઓ કોર્ટમાં મુદતે હાજર રહ્યાં નથી તે યોગ્ય અને વ્યાજબી નથી. પરંતુ આરોપી 100 વર્ષના છે અને તેઓ પથારીવશ રહે છે ત્યારે તેમને જામીન પર મુક્ત કરવા યોગ્ય છે.
કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું હતું.
વર્ષ 2014માં વીજ ચોરી અંગે જીઇબી પોલીસ સ્ટેશન ખાતે વસીમાબીબી નીઝામુદ્દીન અંસારી સામે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ આ મામલે પોલીસે તપાસ કરી સ્પે. કોર્ટમાં ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો. જો કે, કેસની મુદતે વસીમાબીબી હાજર રહેતા ન હતા. જેથી કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું હતું.
જેમાં પોલીસે તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને જેલમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. જેલમાં મોકલ્યા બાદ આરોપીએ જામીન અરજી કરી હતી જેમાં એવી રજૂઆત કરી હતી કે, આરોપી 100 વર્ષના વૃદ્ધ મહિલા છે, તેઓ પથારીવશ રહે છે અને રોજીંદી ક્રિયા માટે પણ બીજા લોકો પર આધાર રાખવો પડે છે. તેઓ ઉંમરલાયક હોવાને કારણે સમયસર કોર્ટમાં હાજર રહી શક્યા ન હતા. ત્યારે કોર્ટે માનવતાના ધોરણે મહિલાને જામીન આપવા જોઇએ.
સાક્ષી કે પુરાવા સાથે ચેડા કરવા નહીં
બીજી તરફ સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે, જામીન અરજીમાં વાંધો નથી પરંતુ આગામી મુદતથી નિયમિત હાજર રહે સહિતની વિવિધ શરતોને આધારે તેમને મુક્ત કરવા જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ગ્રાહ્ય રાખ્યા હતા.
સાથે જ એવી શરત મુકી હતી કે, સાક્ષી કે પુરાવા સાથે ચેડા કરવા નહીં, પોતાનું કાયમી સરનામુ મોબાઇલ નંબર સાથે તપાસ કરનાર અધિકારીને આપવું અને કોર્ટના આદેશ વગર સરનામુ બદલવું નહીં, પાસપોર્ટ હોય તો 10 દિવસમાં જમા કરાવવો અને કોર્ટમાં નિયમિત હાજર રહેવું.