Patna News: દિલ્હીથી પટના આવી રહેલી એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઇટ AI 1741 લેન્ડિંગ પહેલાં પક્ષી સાથે અથડાઈ હતી. જોકે, પાયલટની સૂઝબૂઝના કારણે વિમાનને પટનાના જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સવારે 7:43 વાગ્યે સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ 164 મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. લેન્ડિંગ પહેલાં પાયલટે વિમાનના જમણા એન્જિન નજીક પક્ષી અથડાવાની જાણ એરપોર્ટ તંત્રને કરી હતી. ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે ઇમરજન્સી પ્રોટોકોલ સક્રિય કરવામાં આવ્યો હતો.
Air Indiaની ફ્લાઇટ લેન્ડિંગ પહેલાં પક્ષી સાથે અથડાઈ
ઘટનાની જાણ થતાં જ રનવે પર ફાયર બ્રિગેડ અને અન્ય જરૂરી રાહત સેવાઓને તૈનાત કરવામાં આવી હતી. વિમાનના સુરક્ષિત ઉતરાણ સુધી એરપોર્ટ તંત્ર એલર્ટ મોડમાં રહ્યું હતું. પટના એરપોર્ટના ડિરેક્ટરે પણ વિમાન સાથે પક્ષી અથડાવાની ઘટનાની પુષ્ટિ કરી હતી. જોકે, સમયસર લેવાયેલા સાવચેતીના પગલાંને કારણે કોઈ મોટી દુર્ઘટના બની નહોતી.
તપાસમાં એન્જિનને નુકસાન ન હોવાનું સામે આવ્યું
વિમાન સુરક્ષિત રીતે લેન્ડ (Safe Landing)થયા બાદ ટેકનિકલ ટીમે તેની તપાસ કરી હતી. તપાસમાં બર્ડ સ્ટ્રાઈક (Bird Strike)ની ઘટના થઈ હોવાનું સામે આવ્યું હતું, પરંતુ વિમાનના એન્જિનને કોઈ નુકસાન થયું ન હોવાનું જાણવા મળ્યું હતું. સુરક્ષા અને ટેકનિકલ તપાસ પૂર્ણ થયા બાદ જ વિમાનને ફરીથી દિલ્હી જવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
AI 1741ને પટનાથી સવારે 8:45 વાગ્યે દિલ્હી (Delhi)માટે રવાના થવાનું હતું. જોકે, બર્ડ હિટ બાદ જરૂરી તપાસ અને સુરક્ષા પ્રક્રિયાને કારણે ફ્લાઇટમાં વિલંબ થયો હતો. આખરે વિમાન લગભગ 79 મિનિટના વિલંબ સાથે સવારે 10:09 વાગ્યે 160 મુસાફરોને લઈને દિલ્હી માટે રવાના થયું હતું. રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી નહોતી.
આ પણ વાંચો: અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં લેપટોપમાં આગ, 5 મુસાફરો દાઝ્યા; ફ્લાઇટનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ
આ પણ વાંચો:ચેન્નાઈ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું એન્જિન ફેલ, 224 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ
