Surat News: કાળ ક્યારે કોને ક્યાં કેવી રીતે આંબી જાય છે તેની કોને ખબર છે. સુરતમાં એક જ સોસાયટીમાં રહેતો પરિવાર પોઇચા (Poicha) ખાતે ફરવા ગયો અને નર્મદા નદીમાં ન્હાવા માટે ઝંપલાવ્યું ત્યાં સુધી તેમને કલ્પના ન હતી કે આજનો દિવસ તેમનો અંતિમ દિવસ હશે અને આ નર્મદા સ્નાન તેમનું અંતિમ સ્નાન હશે. કુલ આઠ પ્રવાસીઓ ડૂબ્યા તેમા ત્રણ નાના બાળકો હતા. સ્થાનિકો દ્વારા એકને બચાવી લેવાયો હતો. કુલ સાત જણા પાણીમાં ડૂબ્યા હતા. તેના પછી તબક્કાવાર રીતે તેમના મૃતદેહો મળ્યા હતા.
બુધવારે એક જ દિવસમાં પિતા સાથે બે પુત્રો, ભત્રીજા સહિત ચારના મૃતદેહો મળી આવ્યા હતા. જ્યારે સાત વર્ષનો આર્યન હજી પણ લાપતા છે. એક જ કુટુંબના ચાર સભ્યોના મૃતદેહોને લાવવામાં આવતા સમગ્ર સોસાયટી જ નહી આસપાસના વિસ્તારોમાં સોંપો પડી ગયો હતો. ચારેયના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખો વિસ્તાર હીબકે ચડ્યો હતો અને હૃદયવિદારક દ્રશ્યો જોવા મળ્યાં હતા. આ દુર્ઘટના પાછળનું એક કારણ રેત માફિયા હોવાનું પણ કહેવાય છે. તેઓ નદીમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરે છે.
મૂળ અમરેલીના અને સુરત ખાતે આવેલા સાણિયા હેમાદ ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા 18 જેટલા વ્યક્તિ ગત મંગળવારના રોજ પોઇચા ખાતે નર્મદા નદીમાં ન્હાવા માટે ગયા હતા. તેમા સાત જેટલા લોકો નર્મદાના પાણીમાં ડૂબી ગયા હતા અને એકનો બચાવ થયો હતો. 72 કલાક થયા હોવા છતાં ડૂબેલા આઠમાંથી છના મૃતદેહ મળ્યા છે અને સાત વર્ષનો આર્યન હજી પણ ગુમ છે.
બુધવારે સવારે ભાવેશ વલ્લભભાઈ હડિયા (15 વર્ષ)નો મૃતદેહ સાંજે ચાર વાગે, ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉંમર 15 વર્ષ) અને વ્રજ હિંમતભાઈ બલદાણિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. ગુરુવારે મૈત્રક્ષ ભરતભાઈ બલદાણિયા (ઉં. 15 વર્ષ), અર્નવ ભરતભી બલદાણિયા (ઉં. 12 વર્ષ) ભરતભાઈ મેઘાભી બલદાણિયા (ઉં. 45)ના મૃતદેહો મળ્યા હતા. ગઇકાલે એક જ દિવસમાં બે પુત્રો સાથે પિતાનો મૃતદેહ મળ્યો હતો. તેમા શોધખોળ કરનાર ટીમોને પિતાનો મૃતદેહ નંદેરિયા ગામ નજીક નદીમાંથી મળી આવ્યો હતો.
ગુરુવારે રાત્રે ચારેયના મૃતદેહ ઘરે લાવવામાં આવ્યા હતા. તેમના મૃતદેહ આવે તે પહેલા આખુ ગામ એકઠું થઈ ગયું હતું. એક જ કુટુંબના ચાર સભ્યોના મૃતદેહ એકસાથે જોઈને સૌ કોઈની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. ચારેયના અંતિમ સંસ્કાર રાત્રે જ કરવાનો નિર્ણય લેવાયો હતો. ચારેયની અંતિમયાત્રા રાતે કાઢવામાં આવી હતી. ત્રણ શબવાહિનીમાં પિતા, બે પુત્ર અને ભત્રીજાની અંતિમયાત્રા સુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહે પહોંચી હતી. ચારેયના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાત્રે પણ આખું ગામ સ્મશાને દોડી આવ્યું હતું.
આ પણ વાંચો: બનાસકાંઠામાં મીની વાવાઝોડાથી ભારે નુકશાન, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી
આ પણ વાંચો: ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હશે જબરદસ્ત હીટવેવ
આ પણ વાંચો: શિક્ષણના ગુજરાત મોડેલમાં વાલીઓનો છેદ ઉડાવી દેવાયો, જ્યારે રાજસ્થાન મોડેલમાં વાલીને અગ્રતા