વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. 5થી10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સપન્ન થયો છે. મેળા પ્રસંગે ૨૪ લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. પૂનમના દિવસે તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ મેળાના સમાપન પ્રસંગે અંબાજી મંદિરના ચાચર ચોકમાં દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સેવા સંઘોના પ્રતિનિધિઓનું સન્માન કરાયું હતું.આ મેળામાં 24 લાખથી વધુએ માઇભકતોએ દર્શન કર્યા
આ પ્રસંગે કલેકટરએ સેવા કેમ્પોની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, સેવા સંઘોએ માઇભક્તોની ખુબ સરસ સેવા કરી છે. આ વખતે તંત્ર દ્વારા સફાઇ બાબતે ખુબ કાળજી રાખીને સ્વચ્છતા રાખવામાં આવી છે હજી પણ બે દિવસ સફાઇની કામગીરી સઘન રીતે કરીને અંબાજીના રસ્તાઓ અને અંબાજીને સ્વચ્છ, સુંદર બનાવી દેવાશે. તેમણે કહ્યું કે, સેવા કેમ્પોની સેવાભાવનાને નત મસ્તકે વંદન કરુ છું. કલેક્ટરએ કહ્યું કે મેળા દરમિયાન તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અને સુવિધાઓની માઇભક્ત યાત્રિકોએ ખુબ સારી પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, મા અંબાની કૃપાથી મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે. આ પ્રસંગે અગ્રણી કે. સી. પટેલ, વહીવટદારશ્રી આર. કે. પટેલ સહિત ભાદરવી સંઘ સેવા કેમ્પોના સંચાલકો અને વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આજે ભાદરવી પૂનમના મેળાના છેલ્લા દિવસે સાંજની આરતી પહેલાં માઇભક્તોએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી હતી. મેળો સુખરૂપ સંપન્ન થતા સેવા કેમ્પના આયોજકો માથે ગરબો લઇને ગરબે ઝુમ્યા હતા.