Ahmedabad News: ગૂજરાત વિદ્યાપીઠમાં એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે, જેમાં હવે ગરબા મહોત્સવને લઈને વિવાદ ઉભો થયો છે. વિદ્યાપીઠ પરીસરમાં 50 વર્ષથી ચાલતા નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર સદંતર પ્રતિબંધ લાદતાં ભારે આક્રોશ ફેલાયો છે. એટલુ જ નહી, વિદ્યાર્થિનીઓ ક્યાંક વિરોધ ન કરી શકે એ માટે ગૃહમાતા દ્વારા તેમને છાત્રાલયમાંથી કાઢી મુકવાની ધમકીઓ અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. આમ, સર્વધર્મ પ્રાર્થના મુદ્દે થયેલા વિવાદ બાદ હવે ગરબા મહોત્સવને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, જરાત વિદ્યાપીઠમાં નવરાત્રી મહોત્સવને લઈને વિવાદ ઉભો થયો છે. નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વચ્ચે ભેદભાવના પગલે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિદ્યાપીઠ પરિસરમાં છેલ્લા 50 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જોકે, આ વખતે ગરબા મહોત્સવમાં વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર પ્રતિબંધ મૂકવામાં આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. વિદ્યાર્થિનીઓના ગરબા ગાવા પર પ્રતિબંધ મૂક્યા બાદ તેઓ વિરોધ ન કરે તે માટે તેમને છાત્રાલયમાંથી કાઢી મૂકવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.
વિદ્યાપીઠના કુમાર વિનયમંદીર સ્કૂલના કેમ્પસમાં છેલ્લા 50 વર્ષથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિદ્યાપીઠના સેવક તેમજ વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. એક પદ્ધતિથી થતાં આયોજનમાં નિત્ય સમય એટલે કે, 11 વાગ્યાની આસપાસ વિદ્યાર્થિનીઓના ગરબા પૂર્ણ થતા હોય છે અને એ પછી થોડો સમય વિદ્યાર્થીઓના ગરબા ચાલતાં હોય છે. આ દરમિયાન છાત્રાલયમાંથી આવતી વિદ્યાર્થિનીઓની સાથે ગૃહમાતાઓ પણ હાજર હોય છે. પરંતુ આ વખતે વિદ્યાપીઠના નવા શાસકો દ્વારા પ્રથમ તો ગરબાના આયોજન પર જ રોક લગાવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં મંજુરી આપી હતી. એ પછી અચાનક જ છાત્રાલયમાં ગૃહમાતા દ્વારા વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેને લઈ કેટલીક વિદ્યાર્થિનીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. એટલુ જ નહી, વિવિધ વિભાગના અધ્યક્ષોને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
ગૂજરાત વિદ્યાપીઠના શાસનમાં થયેલા ફેરફાર બાદ સૌપ્રથમ ફી વધારાના મુદ્દે વિવાદ થયો હતો. ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના અટકાવવાના મુદ્દે વિરોધનો વંટોળ સર્જાયો હતો. આ વિવાદ હજુ માંડ શાંત થયા છે ત્યારે ગરબા મહોત્સવને લઈને વિવાદ સર્જાયો છે. આ અંગે વિદ્યાપીઠના સત્તાધીશોના મત અનુસાર નવરાત્રીનું આયોજન કમિટી દ્વારા થતું હોવાના લીધે તેમને સમગ્ર ઘટનાક્રમ વિશે જાણ ન હોવાનું રટણ કરી હાથ અધ્ધર કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ કુલનાયક દ્વારા સૌપ્રથમ ગરબાનું આયોજન ન કરવા માટે સૂચના અપાઈ હતી.
આ પણ વાંચો:પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું મોત, પરિજનો પર આભ ફાટ્યું
આ પણ વાંચો:પિતાએ ઠપકો આપતા બાળકીઓ ઘર છોડીને નીકળી ગઈ અને પછી જે રીતે મળી…..
આ પણ વાંચો:સાંતલપુરમાં કેશુ મહારાજને ટ્રક ચાલકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો
આ પણ વાંચો:વાપી GIDCમાં કંપનીમાં ભીષણ આગ, સોલવન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની