જ્યાં આચાર જ ભ્રષ્ટાચાર હોય ત્યાં તમે બીજી શું અપેક્ષા રાખી શકો? જી, હા સરકાર સમાજમાં વસતા લાચાર અને બેસહારા લોકો માટે જયારે કોઈ યોજના મુકે ત્યારે આ લાભ જરૂરતમંદો સુધી પહોંચવાને બદલે હજમ જ થઇ જાય, ત્યારે તમે તેને શું કહેશો ? દેશમાં ભ્રષ્ટાચારના મુળિયા એટલે ઊંડે સુધી પહોંચેલા છે કે ત્યાં વિવેકબુદ્ધિને કોઈ સ્થાન નથી. આમ કહેવાનો સ્પષ્ટ આશય છે કે, જે નાણા સાવ કંગાળ અને પીડિતો માટે ફાળવ્યા હોય, ત્યાં પાપ કે પુણ્ય નો વિચાર કર્યા વગર બસ ગેરરીતિઓ જ આચરવામાં આવે છે. ત્યારે દુનિયામાં પાપ અને પુણ્ય જેવી ચીજો પણ છે. પરંતુ જેને ખાવાની ટેવ જ પડી ગઈ હોય…જ્યાં સંતોષ જ ના હોય…જેમના દિમાગમાં રૂપિયા જ રમતા હોય કે, જે કોઇપણ રીતે ચાઉ જ કરવાના હોય તેમને કોણ સમજાવે..કે દુનિયા માં સારી ખોટી ચીજ છે.
ખેર અહી વાત આપણે સરકારી યોજનાઓ અંગેની કરી રહ્યા છીએ, કે જેમાં મનરેગા , પ્રધાનમંત્રી સડક યોજના, આવાસ યોજના , વીમા ફસલ યોજના , આયુષ્માન યોજના જેવી સરકારી યોજનાઓ છે. આ યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના લાભાર્થે સરકાર દ્વારા કરોડોનું ફંડ ફાળવીને મુકવામાં આવે છે. પરંતુ રાજીવ ગાંધીએ એકવાર કહ્યું હતું તેમ એક રૂપિયામાંથી ૮૫ જેટલા પૈસા લાભાર્થી સુધી પહોચતા પહોચતા વચ્ચે જ હડપ થઇ જતા હોય છે. અને માત્ર ૧૫ પૈસા જ લોકો સુધી પહોચતા હોય છે. અને આ સ્થિતિ આજે દાયકાઓની સફર બાદ પણ જેમની તેમ યથાવત છે. કોઈ ચેન્જ આવ્યો નથી. અને સત્તામાં બેઠેલા લોકોના માનસિકતા જોતા કોઈ ચેન્જ આવે તેમ લાગતું પણ નથી.
વેલ, હાલમાં એક તો ખેડૂતો માટે જાહેર કરેલ વીમા યોજના અને વિશેષમાં પ્રધાનમંત્રી દ્વારા શરુ કરવામાં આવેલ આયુષ્યમાન ભારત યોજનામાં ગેરરીતિઓના અનેક મામલાઓ સામે આવ્યા છે. અસલમાં આ યોજનામાં તપાસ કરતા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ યોજના માં આવી અનેક ગેરરીતિઓ સામે આવી છે. આ યોજનામાં ગેરરીતિ આચરવા કેટલાય નકલી કાર્ડો બનાવવામાં આવ્યા છે. અને તેનાથી આગળ તો યોજના ના નાણા ચાઉ કરવા લેભાગુ તત્વો દ્વારા નકલી ઈલાજ, નકલી ઓપરેશનો કરવામાં આવી રહ્યા છે. અને હોસ્પિટલો પણ બિચારી હોશે હોશે નકલી બીલ ક્લેમ કરી રહી છે. મતલબ કે સડો ઉપરથી લઇ નીચે સુધી વ્યાપેલો છે. વિચારવા જેવી વાત છે કે, આમાં સામેલ થનારા લોકો હાયર એજ્યુકેટેડ અને ઈજજતદાર લોકો છે. જેમનો વ્યવસાય જ સેવાનો છે. અને તેમણે અભ્યાસ બાદ લોકોની સેવા કરવાના સોગંદ લીધા હોય છે તેમછતાં આવા કૃત્યો આચરે છે.
ત્યારે લાગે છે કે યોજના ચાહે ફસલ વીમા યોજના હોય કે, શૌચાલય નિર્માણ યોજના હોય પરંતુ ભ્રષ્ટાચારની પેટર્ન એક જ હોય છે. આયુષ્માન યોજના અંતર્ગત ખાસ તો ગુજરાતમાં જ એક જ પરિવારના સભ્યોના નામ પર અધધ ૧૭૦૦ જેટલા કાર્ડ બનાવવામાં આવ્યા. છતીસગઢ માં પણ એક જ પરિવારના નામ પર ૧૦૯ કાર્ડ બનાવવા અને તેમાંથી ૫૭ જેટલા લોકોની આંખોની સર્જરી કરવાના બનાવો છે. અને ૧૭૧ જેટલી આ મામલે સામેલ હોસ્પિટલ્સ દ્વારા નકલી બીલ રજુ કરીને ચુકવણી કરવાના મામલા પણ સામે આવ્યા છે. તેમજ આ સિવાય આયુષ્યમાન યોજનાની રાશિ હડપ કરવા ઉજ્જેનની ગુરુનાનક હોસ્પિટલમાં જરૂર વિના મહિલાનું ગર્ભાશય કાઢી નાખવા બદલ હોસ્પીટલના ડાયરેક્ટ સામે FIR દાખલ કરવાની તૈયારી ચાલે છે. વિશેષમાં આ મામલે આરોપ છે કે, આ યોજનાની રકમ માટે થઈને ૯૯ દિવસોમાં ૫૩૯ જેટલી મહિલાઓના ગર્ભાશય નીકળવામાં આવ્યા હતા. જેમાં કેટલાય ઓપેરશન બિનજરૂરી થયા હતા. આ જ પ્રકારે જબલપુર મેટ્રો હોસ્પિટલ્સ માં પણ ગરબડ ની ફરિયાદ ઉઠવા પામી છે. હોસ્પીટલે કેટલાય દર્દીઓ પાસેથી યોજનામાં નિશ્ચિત કરેલ પેકેજની રકમ લેવા ઉપરાંત પણ વધારાની રકમ લીધાની ફરિયાદો છે.
ઉત્તરપ્રદેશ માં પણ આવી ૧૫૦ જેટલી ખાનગી હોસ્પિટલ્સ ને ઓળખી કાઢવામાં આવી છે. આ હોસ્પિટલ્સ પણ નકલી ઈલાજો અને બોગસ બીલ બનાવવાના કામો બિન્દાસ્ત બની કરી રહી છે. આ જ પ્રકારે પંજાબમાં પણ આવો જ ખેલ ચાલી રહ્યો છે. ત્યારે કહેવાનો આશય છે કે, લોકો સરકારી બાબુઓને ભાંડે છે પરંતુ જ્યાં સરકારી લાભની વાત આવે ત્યાં ડોકટરો જેવા સમાજના ઉચ્ચ કોટીના લોકો પણ આ લુંટ માં સામેલ થાય છે. સેવાનો ભેખધારી બેઠેલા લોકો જયારે આવા કારસ્તાનો આચરે ત્યારે તમે બીજા સામાન્ય લોકો પાસેથી શું અપેક્ષા રાખો??
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર ૨૦૧૮ માં દેશના લગભગ ૫૦ કરોડ લોકોને આવરી લઇ મફત ઈલાજ આપવા માટે આ યોજના લાગુ કરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર આ યોજના અંતર્ગત અત્યાર સુધી દેશમાં લગભગ ૭૦ લાખ થી વધુ લોકોનો ઈલાજ થયો છે. સરકારે પણ આ યોજના અન્વયે લગભગ ૪૫૦૦ કરોડથી પણ વધુ રકમનો ખર્ચ કર્યો છે. પરંતુ આમાં કેટલા બીલ નકલી અને કેટલા સાચા તેનું આકલન હજુ થઇ શક્યું નથી.
પરંતુ અહી નગ્ન સચ્ચાઈ તે છે કે, , આખરે કોઈ સરકાર પ્રજા માટે કોઈ જોગવાઈ કરે તો તેને લાગુ કરવા માટે આવા લાલચુ હાથોની તો જરૂરત પડવાની જ છે. અને આપણી બદનસીબી તે જ છે કે, આયોજન માટે જ્યાં વિશ્વનીય લોકોની જરૂર છે ત્યાં લાલચુ અને લેભાગુ તત્વો આખી એક ક્લબ બનાવી સરકારના પ્રયાસો પર પાણી ફેરવી દે છે. હવે આમને કોણ સમજાવે કે પાપ-પુણ્ય માં પણ વિશ્વાસ કરવો જોઈએ. તમે દેશના ગરીબો સુધી પહોચતા નાણા તમારા ગજવામાં સેરવી મહાપાપ આચારો છો. અને દેશ સાથે ગદ્દારી પણ કરો છે તે યાદ રહે…
@પત્રકાર – કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.