Ladakh Road Accident: શુક્રવારે લદ્દાખના તુર્તુક સેક્ટરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત જવાનો શહીદ થયા હતા. જ્યારે આ અકસ્માતમાં 19 જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા તમામ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર સૈનિકોની બસ ટ્રાન્ઝિટ કેમ્પથી સબ સેક્ટર હનીફના ફોરવર્ડ લોકેશન તરફ જઈ રહી હતી.
બસ શ્યોક નદીમાં 50-60 ફૂટ નીચે પડી
સેનાના સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે પરતાપુરથી આગળના મોરચે 26 સૈન્ય જવાનોને લઈને જઈ રહેલું વાહન લપસીને 50-60 ફૂટ સુધી શ્યોક નદીમાં પડી ગયું. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં સાત જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. બાકીના 19 ઘાયલ સૈનિકોને એરફોર્સની મદદથી વેસ્ટર્ન કમાન્ડ હોસ્પિટલ ચંડીમંદિરમાં ખસેડવામાં આવ્યા છે, જેથી તેઓને વધુ સારી મેડિકલ સુવિધાઓ મળી શકે. સેનાનું વાહન નદીમાં કયા કારણોસર પડ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ અકસ્માત થોઇસથી લગભગ 25 કિમી દૂર થયો
ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં ઘાયલોને શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલુ છે. ગંભીર રીતે ઘાયલોને વેસ્ટર્ન કમાન્ડમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. આમાં એરફોર્સની મદદ લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના થોઇસથી લગભગ 25 કિમી દૂર થઈ હતી, જ્યાં સેનાની બસ લગભગ 50-60 ફૂટની ઊંડાઈએ શ્યોક નદીમાં પડી હતી. જેમાં સેનાના તમામ જવાનો ઘાયલ થયા હતા.
લોકસભા સ્પીકરે દુઃખ વ્યક્ત કર્યું
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે લદ્દાખના તુર્તુક સેક્ટરમાં સૈન્ય વાહનના અકસ્માતને કારણે ભારતીય સેનાના ઘણા સૈનિકોના દુઃખદ મૃત્યુ પર અશ્રુભીની શ્રદ્ધાંજલિ. તેમની સેવાઓને દેશ હંમેશા યાદ રાખશે. દુઃખની આ ઘડીમાં અમારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.
PMએ લદ્દાખ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે લદ્દાખમાં થયેલા માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. અગાઉ, સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે સૈન્યના જવાનોને લઈ જતું એક વાહન શુક્રવારે લદ્દાખના તુકટુક સેક્ટરમાં રસ્તા પરથી લપસી ગયું અને શ્યોક નદીમાં પડી ગયું, જેમાં સાત સૈનિકોના મોત થયા અને 19 અન્ય ઘાયલ થયા. એક ટ્વિટમાં, વડા પ્રધાને કહ્યું, લદ્દાખમાં બસ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું, જેમાં આપણે આપણા બહાદુર સૈનિકો ગુમાવ્યા છે. તેમણે કહ્યું, મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય. અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: monsoon/ આગામી 2-3 દિવસમાં ચોમાસું કેરળ પહોંચવાની આગાહીઃ હવામાન વિભાગ