મુંબઇગરાની સુવિધામાં વધારો કરતો ‘અટલ સેતુ’ (અટલ બિહારી વાજપેયી ન્વાશેવા બ્રિજ -MTHL) ઉદ્ઘાટન કર્યાના ટૂંક સમયમાં બહુ ઝડપી લોકપ્રિય બન્યો છે. વાહન ચાલકો ‘અટલ સેતુ’ પર ડ્રાઈવિંગનો આનંદ લેતા સેલ્ફી લઈ રહ્યા છે. મુંબઈના લોકો પોતાના ગંતવ્ય સ્થાન પર ઓછા સમયમાં પંહોચવા દેશના આ સૌથી લાંબા બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે બ્રિજ ખુલ્લો મૂકાયાના થોડા જ સમયમાં મુંબઈ પોલીસે કાર્યવાહી કરવાની જરૂર પડી છે. આ બ્રિજ પર ફોટો સેશન કરવાની લોકોની ઘેલછા જોતા પોલીસે કડક પગલા લેવાની જરૂરિયાત ઉભી થઈ છે.
શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 કિલોમીટર લાંબા પુલ ‘અટલ સેતુ’નું ઉદ્ઘાટન કર્યું હતું. શનિવારે સવારે 8 વાગ્યાથી બ્રિજ સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પુલ પરથી પ્રથમ દિવસથી જ હજારો વાહનો પસાર થયા હતા. બ્રિજુ ખુલ્લો મૂકાયાના બે દિવસમાં આ પુલ મુંબઈમાં પ્રવાસન સ્થળ બની ગયો છે. સેંકડો મુસાફરો પુલ પર તેમના વાહનો રોકીને સેલ્ફી લઈ રહ્યા છે. સામાન્ય યાત્રીઓ સિવાય પણ ઘણા પ્રવાસીઓ પુલની સુંદરતા જોવા માટે જ ત્યાં પહોંચી રહ્યા છે. કેટલાક લોકો પુલની રેલિંગ ઓળંગતા પણ જોવા મળ્યા હતા. સેલ્ફી-પ્રેમી પ્રવાસીઓની સંખ્યા વધતા પુલનું નિર્માણ કરનાર મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ની ચિંતા વધારી છે. કમિશનર ડૉ.સંજય મુખર્જીએ એક્સ દ્વારા મુંબઈ પોલીસ અને નવી મુંબઈ પોલીસને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા અપીલ કરી હતી.
અટલ બિહારી વાજપેયી ન્વાશેવા અટલ સેતુ (MTHL) પર વાહન રોકવું હવે ડ્રાઈવરો માટે મોંઘું સાબિત થઈ શકે છે. દેશના સૌથી લાંબા પુલ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટ્રાફિક પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે.
મુખર્જીની અપીલ બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી. ‘અટલ સેતુ’ પર નિયમો તોડનારા વાહનચાલકો સામે જુદી જુદી કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં 264થી વધુ વાહન ચાલકોના ચલણ જારી કર્યા છે. પોલીસે MMRDAને પુલ પર નો હોલ્ટિંગ બોર્ડ લગાવવા માટે અપીલ કરી છે. લોકો આ પુલને પસંદ કરી રહ્યા છે જેનાથી મુંબઈથી નવી મુંબઈનું અંતર બે દિવસમાં 80 હજાર વાહનો ઘટશે . આ પુલ પરથી બે દિવસમાં 79,450 વાહનો પસાર થયા છે. MMRDA અનુસાર, શનિવારે 24,083 વાહનો અને રવિવારે 55,367 વાહનોએ તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આ પુલનો ઉપયોગ કર્યો હતો. બ્રિજ દ્વારા નવી મુંબઈથી માત્ર 20 થી 25 મિનિટમાં મુંબઈ પહોંચવું શક્ય છે, જ્યારે અગાઉ આ યાત્રા પૂર્ણ કરવામાં દોઢથી બે કલાકનો સમય લાગતો હતો.
આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર
આ પણ વાંચો:એકનાથ શિંદેનું જૂથ પહોંચ્યું બોમ્બે હાઈકોર્ટમાં, ઉદ્ધવ જૂથના ધારાસભ્યોની વધી શકે છે મુશ્કેલી