કોંગ્રેસ કડકી અને કરકસર : આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી શરૂ થઈ છે. તેવે સમયે ૧૮૫૭ના બળવાએ આઝાદીની લડતનો પ્રથમ તબક્કો હતો તેવી રીતે ૧૮૮૫માં દેશને આઝાદી અપાવવાના ધ્યેય સાથે જ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ હતી અને કોંગ્રેસનાં નેજા હેઠળ જ આઝાદીની લડત આગળ ચાલી હતી. આ પક્ષને હાલ ૧૩૬ વર્ષ પૂરા થઈ ગયા છે. આઝાદી બાદ ૧૯૭૭ સુધી વિભાજનોના અનેક તબક્કા વચ્ચે એકધારૂ શાસન કરનાર આ પક્ષની હાલત ઘણી ખરાબ છે. અત્યારે માત્ર ત્રણ જ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. બાકીનાં ત્રણ રાજ્યોમાં ગઠબંધનની ભાગીદાર છે. લોકસભામાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હોવા છતાં તેના નેતાને ટેકનીકલ કારણ આપીને વિપક્ષી નેતાનું પદ મળ્યું નથી. અત્યારે ઉત્તર પ્રદેશ બિહાર સહિત આઠ રાજયો એવા છે કે, જ્યાં કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યામાં ચોથા સ્થાને છે. દિલ્હી અને પશ્ર્ચિમ બંગાળ વિધાન સભામાં તો કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નથી. લોકસભાની ચૂંટણી વખતે ગુજરાત રાજસ્થાન સહિત છ રાજ્યોમાં કોંગ્રેસનો એકપણ સભ્ય ચૂંટાયો નહોતો.
(@હિંમતભાઈ ઠક્કર , ભાવનગર )
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં તમામ છ મહાનગરોમાં કોંગ્રેસ હારી. સુરતમાં તો કોંગ્રેસનું ખાતુ જ ન ખૂલ્યુ અને તમામ ૩૧ જિલ્લા પંચાયતોમાં ભાજપનું રાજ છે. પંચમહાલ સહિત બે જિલ્લા પંચાયતો એવી છે કે જ્યાં તેનો એક પણ સભ્ય ચૂંટાયાં નથી. ૨૦૧૪ સુધી કોંગ્રેસ કેન્દ્રમાં અને ૧૩ રાજ્યોમાં સત્તાસ્થાને હતી પરંતુ હવે ચીત્ર બદલાયું છે. કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. આ પણ વાસ્તવિક્તા છે. ઘણાં વિશ્ર્લેષકો કહે છે તે પ્રમાણે કોંગ્રેસને હારવાની આદત પડી ગઈ છે. ઘણાં એવો સવાલ પણ કરે છે કે, આઝાદીના જંગમાં મહત્વ પૂર્ણ ફાળો આપનાર, દેશના વિકાસની ઈમારત ઉભી કરવામાં જેની ભૂમિકા છે. જે પક્ષના નેતાઓે આતંકવાદ સામે લડવામાં પોતાના પ્રાણ ગુમાવ્યા છે તે પક્ષનો જનાધાર કેમ ઘટતો જાય છે? વારંવારનું વિભાજન અને આંતરિક જૂથબંધી કોંગ્રેસને બરાબર નડી ગઈ છે અત્યારે પણ છેલ્લા બે વર્ષથી રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસનાં પ્રમુખની વરણી થઈ શકી નથી તે શીર્ષસ્થ આગેવાનો ગાંધી પરિવારનાં નેતૃત્વ સાથેની કોંગ્રેસ અને ગાંધી પરિવાર વગરની કોંગ્રેસ એ બે ભાગાં વહેંચાયેલા છે. આ બાબત વિચાર માગે તેવી છે હવે આ રીતે વારંવાર પરાજય પામતો પક્ષ આર્થિક રીતે સંકડામણમાં આવી જાય તે કોઈ નવી વાત નથી.
તાજેતરમાં રાજકીય પક્ષોની આવક અંગેના જે આંકડા જાહેર થયા તે પ્રમાણે ૨૦૧૯-૨૦નાં વર્ષમાં ભાજપને ૨૨૦૦ કરોડની આવક થઈ છે તો કોંગ્રેસની આવક ૩૧૮ કરોડ પર આવીને અટકી ગઈ છે આમ હાલનો સત્તાધારી પક્ષ ૧૯૮૦માં સ્થપાયેલો છે અને તેની સ્થાપનાને માત્ર ૪૧ વર્ષ થયા છે છતાં કોંગ્રેસ કરતાં અનેક ગણી આવક ધરાવતો પક્ષ બની ગયો છે. આંકડાઓ કહે છે તે પ્રમાણે ૨૦૧૪ પહેલા કોંગ્રેસની આવક ભાજપની આવક કરતાં વધારે હતી. અત્યારે ઉલ્ટુ ચીત્ર છે. દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મધ્યસ્થ કાર્યાલયનું મકાન બનાવવાનો પ્રોજેક્ટ અટકી પડ્યો છે. કોંગ્રેસને હવે ચૂંટણી લડવા માટેનું ભંડોળ બચાવવા માટે ફાંફા મારવા પડે તેવી હાલત છે.
કોંગ્રેસનાં હાલ ખજાનચી પદે પૂર્વ રેલવે મંત્રી પવનકુમાર બંસલ છે તેમણે હમણાં કેટલીક સૂચનાઓ જાહેર કરી છે તે પ્રમાણે પક્ષના ખર્ચમાં કરકસર કરવા માટે પ્રયાસ શરૂ કર્યા છે તેમણે પક્ષના હોદેદારોને વિમાની પ્રવાસ ઘટાડવા કહ્યું છે. જે લોકો સાંસદો છે તેમને તો વિમાની પ્રવાસની છૂટ હોય છે તેનો જ વધુ પ્રમાણમાં ઉપયોગ કરવા કહ્યું છે. જ્યારે જે-તે વિમાની પ્રવાસની છૂટ ન હોય તેવા સભ્યોને વિમાનના પ્રવાસથી દૂર રહેવાની સલાહ આપી છે. કોંગ્રેસ પાસે સંપત્તિ અને ભંડોળ છે પણ છેલ્લા સાત વર્ષથી જે આવક ઘટી છે તેના કારણે આવક ઘટતા રીઝર્વ ભંડોળમાંથી પૈસા વાપરવા પડે તેવી સ્થિતિ છે. કોંગ્રેસના હાલના ખજાનચી બંસલે તમામ સાંસદો અને ધારાસભ્યોને પક્ષના ભંડોળ માટે દર વર્ષે રૂ. .૫૦ હજાર જમા કરવા સૂચના આપી છે. તો પક્ષના સક્રિય કાર્યકરોને વર્ષે બે હજાર જમા કરાવવા સૂચના આપી છે. એક અહેવાલ કહે છે તે પ્રમાણે પ્રદેશ કાર્યાલયો અને અન્ય કાર્યાલયોના ખર્ચમાં પણ કાપ મૂકવાની સલાહ આપી છે.
ટૂંકમાં ૨૦૧૩ સુધી બેફામ નાણાં ખર્ચનાર કોંગ્રેસને હવે કરકસરના માર્ગે ચાલવું પડે તેવી સ્થિતિ છે. દેશનું અર્થતંત્ર તો અત્યારે ખાડે જ ગયેલું છે. કોરોનાના કારણે અર્થતંત્રને જે માર પડ્યો અને તે પહેલા ૨૦૧૮-૧૯માં જે મંદીનું મોજું આવેલું તે ગયું નથી અને ગમે તેટલા દાવા છતાં જીડીપી ઘટતો રહે છે. તેવી રીતે કોંગ્રેસમાં પણ આવક પૂરતા પ્રમાણમાં આવતી નથી અને ખર્ચ વધતો જાય છે. કોંગ્રેસ પાસે અત્યારે ફંડ મેનેજરો નથી અહમદ પટેલ અને મોતીલાલ વોરાએ ફંડ મેનેજરની કામગીરી બજાવી હતી. ભાજપ પોતાના પ્રોજેક્ટો માટે જે રીતે સત્તાના કારણે સ્પોન્સરો શોધી શકે છે તેવી રીતે કોંગ્રેસને સ્પોન્સરો મળતા નથી.
(કોંગ્રેસ કડકી અને કરકસર)
જો કે કોંગ્રેસી કાર્યકરોમાં એક વર્ગ એવો છે કે જે હંમેશા ફંડ માટે પ્રદેશ સમિતિ પાસે અને પ્રદેશ સમિતિ રાષ્ટ્રીય સમિતિ પાસે આધાર રાખે છે. કોંગ્રેસને તમામ સ્તરે એવા હોદ્દેદારો મળ્યા છે કે જે પક્ષ માટે નાણા ઉભા કરી શકતા નથી. આના કારણે કોંગ્રેસને કરકસર કરવી પડે તેવી હાલત છે. સોશ્યલ મિડિયામાં એક કોમેન્ટ પણ આવી હતી કે, કોંગ્રેસ કડકી અને કરકસર નો મેળ સરખો બેસી ગયો છે.
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર