કોરોનાકાળમાં સૌથી વધુ કપરી હાલત ગરીબ અને શ્રમજીવી વર્ગની બની છે. તેમાં પણ તેમના મોઢા સુધી PM મોદી દ્વારા મુકવામાં આવેલા કોળિયા પણ ભાજપના જ મંત્રી છીનવવાની યોજના બનાવી રહ્યા છે.
આજે યોગ દિવસની સાથે મહારસીકરણની પણ શરૂઆત કરવામાં આવી છે. ત્યારે વડોદરા ખાતે આ મહા રસીકરણ અભિયાનના કાર્યક્રમમાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, વેક્સીન ન લેનારને મફત અનાજ ન આપવું જોઇએ. સરકારના મંત્રીના આવા નિવેદનથી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ અંગે તેઓ જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન લાદ્દ્વામાં આવેલા પ્રતિબંધ ને લઇ અનેક લોકોના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરીબોને દિવાળી સુધી મફત અનાજ આપવાની ઘોષણા કરવામાં આવી છે.
અત્રે નોધનીય છે કે રાજ્યમાં ઘણા લોકો એવા પણ છે કે જેમને રસી તો મુકાવવી છે. પરંતુ રાજ્યમાં પ્રવર્તતી રસીની અછત અથવા તો રજીસ્ટ્રેશન માં સ્લોટ નહિ મળવાને કારણે અનેક લોકો રસી માટે શોધખોળ કરી રહ્યા છે. કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા કોરોનાની કોવેક્સિન રસીનો જથ્થો પ્રાપ્ત થઇ રહ્યો નથી. જેને કારણે કોવેક્સિનનો બીજો ડોઝ લેનારા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. એક તરફ લોકોનો કોવેક્સિન રસીનો બીજો ડોઝ અટવાઇ ગયો છે, ત્યારે મંત્રી આવા વિવાદિત નિવેદનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.