ભારતીય જનતા પાર્ટી (BJP)એ શુક્રવારે ભારતીય ચૂંટણી પંચ (ECI)ને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા આદર્શ આચાર સંહિતા (MCC) અને લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની જોગવાઈઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવા બદલ પ્રિયંકા ગાંધી સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે.
ભાજપના કાયદા સેલના પૂર્વ સંયોજક એડવોકેટ પંકજ વાધવાણીએ વાત કરતા કહ્યું કે, તેમણે AICCના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ મંડલામાં વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરવા બદલ, આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનને ટાંકીને ફરિયાદ નોંધાવી છે. શુક્રવારે ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં વકીલ વાધવાણીએ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીની જાહેરાતનો હેતુ લોકોને મત આપવા માટે આકર્ષવાનો છે.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 12 ઓક્ટોબરે મંડલા જિલ્લામાં જાહેર સંબોધન દરમિયાન પ્રિયંકા ગાંધીએ ધોરણ 1 થી 12 સુધીના દરેક વિદ્યાર્થીને દર મહિને 500 થી 1500 રૂપિયા આપવાની વાત કહી હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આ લલચાવનારી જાહેરાત માત્ર મતદાનને પ્રભાવિત કરવા માટે કોઈ નક્કર યોજના વિના કરવામાં આવી હોવાનું જણાય છે.