આગામી 15 ઓક્ટોબરથી નવરાત્રીનો પર્વ શરૂ થઈ રહ્યો છે, ત્યારે આ માટે અત્યારથી જ ગરબા આયોજકો અને ખેલૈયાઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન ગરબાના કાર્યક્રમમાં ઓળખ છૂપાવીને મુસ્લિમ યુવકોના પ્રવેશના કિસ્સા પ્રકાશમાં આવતા જ હોય છે. જેના પગલે આ વર્ષે અનેક ઠેકાણે ગરબામાં બિન હિન્દુ યુવકોના પ્રવેશને અટકાવવા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. એટલે કે ‘નો તિલક, નો એન્ટ્રી’નો નિયમ બનાવવામાં આવ્યો છે. કેટલાક લોકો આયોજકોના નિર્ણયને સ્વીકારી રહ્યા છે, તો કેટલાક આ નિર્ણયની ભારે ટીકા કરી રહ્યા છે. એવામાં હવે આ મામલે પંચમહાલ જિલ્લાના કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે.
ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પોતાના મત વિસ્તારના લોકો અને ગરબા આયોજકોને અપીલ કરી છે કે નવરાત્રીમાં ગરબા માટે આવતા તમામ લોકો તિલક કરીને આવે. તેઓએ હિન્દુ સનાતન ધર્મની રીત અનુસરવાની અપીલ કરી છે. ફતેસિંહ ચૌહાણે જણાવ્યું કે, હાલતમાં સનાતન ધર્મ વિશે ટીકા-ટિપ્પણી થઈ રહી છે. વિશ્વમાં નિજ સનાતન ધર્મ સિવાય કોઈ ધર્મ નહતો. આપણે એ પરંપરા જાળવી રાખવાની છે. દરેક સનાતની હિન્દુઓએ નવરાત્રીમાં અવશ્ય તિલક કરીને આવવું.
વડોદરાના ડભોઈમાં નવરાત્રી મહોત્સવમાં એક ખાસ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમનું પાલન ન કરવા પર ખેલૈયાઓને મેદાન પર ગરબા રમવાની એન્ટ્રી આપવામાં નહીં આવે અને તેમને ત્યાંથી જ પાછા જવું પડી શકે છે. જી હાં, ડભોઈમાં ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં યુવાઓએ કપાળ પર તિલક કરીને આપવવાનું રહેશે. નહીંતર તેમને એન્ટ્રી આપવામાં નહીં આવે. ડભોઈનું ગઢભવાની કલ્ચરલ ગ્રુપ એ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સંચાલિત છે. તેમણે કહ્યું કે, લલાટ પર તિલક રાખનારને એન્ટ્રીનો નિર્ણય માત્ર હિન્દુ સંસ્કારો અને સંસ્કૃતિને ટકાવી રાખવાના હેતુસર લેવાયો છે. કોઈ લઘુમતી કોમના લોકો અહીં ગરબા રમવા આવતા નથી. ડભોઈમાં હિન્દુઓ અને મુસ્લિમો પોત-પોતાના તહેવારો શાંતિપૂર્વક ઉજવે છે.
આવી જ રીતે વડોદરાના ગઢ ભવાની કલ્ચર ગ્રુપ દ્વારા પણ વિધર્મી તત્વો દ્વારા હિન્દુ છોકરીઓની છેડતીના બનાવોને અટકાવવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત ગરબામાં ભાગ લેવા આવનારા ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસની સાથે જ કપાળ પર તિલક ફરજિયાત લગાવવાનું રહેશે. જો આમ કરશે, તો જ ખેલૈયાઓને ગરબામાં પ્રવેશ આપવામાં આવશે.
આ પણ વાંચો:ખંડણીખોર પર ત્રાટકતી દાહોદ પોલીસ, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી માગી 90 લાખની ખંડણી
આ પણ વાંચો:કડોદરામાં ત્રીજા માળેથી મહિલા પટકાતા મહિલા મોતને ભેટી
આ પણ વાંચો:ડાંગમાં એક સાથે 20 જેટલા બાળકોની તબિયત લથડી, સુબિરના CHC ખાતે સારવાર અર્થે ખસેડાયા