ભારતીય જનતા પાર્ટીએ બુધવારે આરોપ લગાવ્યો છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની રાજનીતિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભગવાન રામનું સ્થાન લીધું છે. મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’નું સ્વાગત કરવા માટે કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલ આમંત્રણને ઉદ્ધવે સ્વીકાર્યા પછી ભાજપની ટિપ્પણીએ તેના ભૂતપૂર્વ સાથી પર કટાક્ષ કર્યો હતો.
બીજેપીના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે કહ્યું, “ઉદ્ધવ ઠાકરે ક્યારેય તેમની પાર્ટીના હિત માટે પણ ઘરની બહાર નથી નીકળ્યા, પરંતુ હવે તેમણે રાહુલ ગાંધીનું સ્વાગત કરવાનો નિર્ણય લીધો છે.” તેમણે કહ્યું કે ઉદ્ધવના પિતા, દિવંગત શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે એ સુનિશ્ચિત કરતા હતા કે મહત્વપૂર્ણ વ્યક્તિઓ તેમના નિવાસસ્થાને આવે, પરંતુ “સમય બદલો લઈ રહ્યો છે અને ઉદ્ધવ ઠાકરેએ રાહુલનું સ્વાગત કરવા નાંદેડ જવું પડશે”.
બીજેપી પ્રવક્તાએ કહ્યું, “તે ઉદ્ધવ માટે ‘મુહ મેં રામ, બગલે રાહુલ’ જેવું છે. ઉદ્ધવ ક્યારેય હિંદુત્વ માટે રસ્તા પર ઉતર્યા નથી કે ભાજપના નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી દ્વારા આયોજિત રથયાત્રામાં પણ ભાગ લીધો નથી. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં લગભગ ત્રણ દાયકાથી સાથી રહેલા ભાજપ અને શિવસેનાએ 2019માં મુખ્યમંત્રી પદ પર વિવાદ બાદ અલગ થઈ ગયા હતા.