રાજયમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસમાં દિવસે ને દિવસે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા સંક્રમણ ન વધે તે માટે કડક પગલા લેવાઈ રહ્યા છે. કોરોના ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ તહેવારોની ઉજવણી તેમજ મેળાઓ રદ્દ કરવામાં આવી રહ્યા છે.
આ વર્ષે અરવલ્લીમાં 100 વર્ષથી ત્રિ-દિવસીય યોજાતો મેળો રદ્દ કરવામાં આવ્યો છે. અરવલ્લીમાં દર વર્ષે આંબલી અગિયારસના રોજ નવાગામ ખાતે કંટાળું હનુમાનજી ખાતે 3 દિવસ સુધી આ મેળો ચાલે છે. આ મેળો આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતો પરંપરાગત મેઘરજના નવાગામ ખાતે યોજાય છે.
જે આ વખતે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને ગ્રામ પંચાયત અને અગ્રણીઓ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ મેળો રદ્દ કરવામાં આવ્યો છે. 100 વર્ષથી યોજાતા મેળામાં આટલા વર્ષોમાં પ્રથમ વખત કોરોનાના કારણે પરંપરા તોડવામાં આવી રહી છે.
આ લોકમેળામાં મોટા પ્રમાણમાં લોકો આવતા હતા. અહી વેપારી પોતાની ચીજવસ્તુ સાથે સ્ટોલ પણ ઉભા કરી શકતા. પરંતુ આ વર્ષે આ તમામ પ્રક્રિયા બંધ રહેશે માત્ર સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન જ કરી શકાશે.