નવી દિલ્હી,
વિશિષ્ટ ઓળખ નંબર આધારને લઈને દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર ગાય અને ભેંસો માટે પણ ૧૨ આંકડાનો આધાર નંબર જાહેર કરવા જઈ રહી છે. જેનો ઉપયોગ દૂધાળુ ગાયો અને ભેંસોની ઓળખ તેમજ દૂધ ઉત્પાદનને વધારવાની યોજના માટે કરવામાં આવશે. આ માટે દેશમાં ૯ કરોડ દૂધાળુ ગૌવંશોની ઓળખ કરવા માટે સરકારે ૧૪૮ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
કૃષિ મંત્રી રાધામોહનસિંહે લોકસભામાં આ અંગેની માહિતી આપતા જણાવ્યુ હતું કે, પશુઓને આધાર નંબર આપવાથી તેમના વૈજ્ઞાનિક પ્રજનન, રોગો પર નિયંત્રણ અને દૂધ ઉત્પાદનમાં વધારા સહિતના લક્ષ્યાંક સરળતાથી મેળવી શકાશે.
રાધામોહનસિંહે જણાવ્યુ હતું કે રાષ્ટ્રીય પશુ ઉત્પાદક્તા મિશનના પશુ સંજીવની અભિયાન અંતર્ગત આ યોજના લાગુ કરવામાં આવશે. રાધામોહનસિંહે જણાવ્યુ હતું કે ટેકનીકલ રીતે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ પહેલાથી જ પશુ સ્વાસ્થ્ય અને ઉત્પાદન સંબંધિત સુચના નેટવર્ક વિકસીત કરી ચુક્યુ છે. જેમાં ૧૨ આંકડાના આધાર નંબરવાળા ટેગનો ઉપયોગ કરી પશુઓની ઓળખ સંબંધિત ડેટા અપલોડ કરવામાં આવશે.
તેમજ આ ડેટાનો રાષ્ટ્રીય ડેટાબેઝ તરીકે ઉપયોગ કરાશે. શિક્ષણ મંત્રીએ જણાવ્યુ હતું કે, દરેક પશુ માટે આધાર સાથેના પોલીયુરીથીન ટેગની કિંમત ૮થી ૧૨ રૂપિયા પ્રતિ ટેગ છે. ૯ કરોડ દૂધાળા પશુની ઓળખ કરી તેમને ટેગ લગાવવાનો છે, જેથી આ યોજનામાં અંદાજે ૧૪૮ કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જે માટે રાજ્ય સરકારોને કેન્દ્ર તરફથી ૭૫ કરોડ રૂપિયા પહેલાથી જ આપી દેવામાં આવ્યા છે.