અમદાવાદ
અમદાવાદનો અમરાઇવાડી વિસ્તાર અસામાજીક પ્રવૃતિ માટે કુખ્યાત છે. અમરાઇવાડી વિસ્તારમાં છાશવારે મારામારી અને હત્યા સુધ્ધાના બનાવો બનતા રહે છે.અમરાઇવાડીમાં મંગળવારે સરેઆમ એક કિશોરની હત્યા કરી દેવામાં આવી હતી. 15 વર્ષના હેમિલ જૈનને આ વિસ્તારના જ ગુંડાઓએ છરી અને તલવારના ઘા મારીને ક્રુર રીતે મારી નાંખ્યો હતો. હેમિલની હત્યા કરી ગુંડાઓ ફરાર થઇ ગયા હતા.
હેમિલ હાલ ચાલી રહેલી 10માં ધોરણની બોર્ડની પરીક્ષા આપી રહ્યો હતો.
હેમિલની હત્યા કાળુ વાઘેલા નામના કુખ્યાત ગુંડાએ કરી હોવાનું સામે આવ્યું છે. કાળુ અમરાઇવાડીમાં દારૂના અડ્ડો ચલાવતો હતો અને આ અગાઉ પણ તેના નામે અનેક કેસો દાખલ થયાં છે. હેમિલની હત્યા સાવ નાના ઝઘડાને લઇને કરવામાં આવી હતી. ગુટખા ખાવા જેવી નાની વાતને લઇને હેમિલનો ઝઘડો કાળુ સાથે થયો હતો. જો કે આજુબાજુ રહેતા લોકોએ આ ઝઘડાનું સમાધાન પણ કરાવ્યું હતું.
સમાધાન બાદ પણ કાળુએ બદલાની ભાવના મનમાં રાખી અને રાતે સાડા દસ વાગ્યાની આસપાસ હેમિલની હત્યા કરવામાં આવી હતી. કાળુ અને તેના સાગરિતોએ હેમિલને તલવાર અને છરીઓના ઘા મારીને પતાવી દીધો હતો.
જેની હત્યા કરવામાં આવી તે હેમિલ જૈન હજુ 10 ધોરણમાં ભણતો હતો. અમરાઇવાડીના બળીયાનગરમાં તેના માતા-પિતા સાથે રહેતો હતો અને ભણવાની સાથે સાથે મોબાઇલની દુકાનમાં નોકરી પણ કરતો હતો.
હેમિલની હત્યા થયા બાદ બળિયાનગરની મહિલાઓએ અમરાઈવાડી પોલીસ ચોકીમાં જઈને હોબાળો કર્યો હતો અને આ માસુમની હત્યા માટે ન્યાયની માંગણી કરી હતી.
હાલ તેની લાશ એલજી હોસ્પિટલમાં થઇ લઈને તેના માતા પિતાને સોપવામાં આવી છે.