દિલ્હી
સીબીઆઇમાં બે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગજગ્રાહ સર્જાયા પછી દેશની આ ટોપ એજન્સીમાં ધમાસાણ સર્જાયું છે.સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્મા અને જોઇન્ટ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ફરજીયાત રજા પર ઉતારી દેવાયા છે.પોતાને ફરજીયાત રજા પર ઉતારી દેવાયા પછી આલોક વર્માએ સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરીને સરકારના આ હુકમને પડકાર્યો છે.
સુપ્રિમ કોર્ટ આજે શુક્રવારે આલોક વર્માની પીટીશન પર સુનવણી કરશે.એ સિવાય સીનીયર એડવોકેટ પ્રશાંત ભુષણે પણ કરેલી અરજી પર સુપ્રિમ કોર્ટ આજે સુનવણી કરશે.આ પીટીશનમાં સરકારે સીબીઆઇના વચગાળાના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરેલાં એન.નાગેશ્વર રાવની નિમણુંકને પણ પડકારવામાં આવી છે.પ્રશાંત ભુષણે કરેલી પીટીશનમાં રાફેલ ડીલનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે અને સીબીઆઇ તરફથી આ મામલે કોઇ કાર્યવાહી થઇ નથી રહી તેની ફરિયાદ કરવામાં આવી છે.
રજા પર ઉતારી દેવામાં આવેલા સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર રાકેશ અસ્થાના આજે પોતાના વકિલ મુકુલ રોહતગીને મળ્યા હતા.
બીજી તરફ સીબીઆઇ જેવી ઉચ્ચ તપાસ એજન્સી જે રીતે પત્તાના મહેલની માફક તુટી પડી છે તે દરમિયાન કોંગ્રેસના પ્રેસીડન્ટ રાહુલ ગાંધીએ સીબીઆઇ ઓફિસને ઘેરાવ કરવાનું એલાન કર્યું છે.કોંગ્રેસ રાહુલ ગાંધીની નેતાગીરી નીચે દેશભરમાં સીબીઆઇની ઓફિસોની બહાર ઘેરાવ કરશે.
સીબીઆઇમાં બે અધિકારીઓ વચ્ચેની જંગ બાદ સરકાર તરફથી ભરવામાં આવેલા પગલાં પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માને જે રીતે હટાવ્યા છે તે ગેરકાયદેસર છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે સીબીઆઇ ડિરેક્ટરને હટાવવાનું કામ કમિટી કરે છે. રાફેલ તપાસના કારણે સીબીઆઇના ડિરેક્ટરને હટાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, માત્ર હટાવવામાં નથી આવ્યા પરંતુ તેમનો રૂમ પણ સીલ કરી દેવામાં આવ્યો છે અને રૂમના કાગળો પણ જપ્ત કરવામાં આવ્યા છે.