છત્તીસગઢના બીજાપુરમાં જે રીતે નક્સલીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો, તેવામાં હવે નક્સલીઓની સામે એક મોટા અભિયાનની રુપરેખા તૈયાર થઇ છે. સૂત્રોએ જણાવ્યું કે આ પ્લાનમાં નક્સલીઓના એ ટોપ કમાન્ડરોના નામ સામેલ છે, જેને આવનારા દિવસોમાં ફૂંકી મરાશે.
સૂત્રોએ જાણકારી આપી છે કે ગઇકાલે સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે નક્સલિયોની સામે ઑપરેશનમાં તેજી આવશે. સાથે જ આના માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સનો સહારો લેવામાં આવશે. એટલું જ નહીં, મોટા પાયે NTRO સુરક્ષા એજન્સીઓની રિયલ ટાઇમ જાણકારી આપીને મદદ કરશે.
સુરક્ષા એજન્સીઓ મોસ્ટવોન્ટેડ નક્સલી કમાન્ડરનું લિસ્ટ બનાવીને તેમની સામે જલદી મોટુ ઑપરેશન શરુ કરશે. સૂત્રોએ જણાવ્યું કે ઑપરેશન પ્રહાર-3 હેઠળ એવા મોટા નક્સલીઓને નિશાન બનાવવાની તૈયારી છે, જે ભોળાભાળા યુવાઓનું બ્રેનવોશ કરી તેમને નક્સલી પ્રવૃતિઓમાં સામેલ કરવા માટે ઉશ્કેરે છે.
સુરક્ષાદળોએ નક્સલીઓના ટૉપ કમાન્ડરનું લિસ્ટ બનાવ્યું છે, તેમાં PLGA-1 નો સૌથી મોટો કમાન્ડર હિડમા સામેલ છે. જેના વિશે સુરક્ષાદળોને હાલમાં જ ખબર પડી છે કે તે સુકમાના જંગલોમાં સંતાઇને સુરક્ષાદળોને નિશાન બનાવી રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ લિસ્ટમાં ફક્ત હિડમા જ નહીં પરંતુ બીજા નક્સલી લીડર પણ સામેલ છે.
નક્સલી હુમલામાં 22 જવાન શહીદ
શનિવાર 3 એપ્રિલ 2021ના રોજ છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાની બોર્ડર પર નક્સલીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે ગોળીબાર થયો. નક્સલીઓએ 700 જવાનો પર ઘેરીને હુમલો કર્યો. જેમાં 22 જવાનો શહીદ થઇ ગયા. હજુ એક જવાન લાપતા છે. ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના જગદલપુર પહોંચ્યા. તેમણે નક્સલીઓની સામે કાર્યવાહીમાં તેજી લાવવાનો નિર્દેશ આપ્યો છે.