- ક્યાં ગયા તે સક્ષમ અધિકારિયો કે જે સળગતા પંજાબને પણ ઠારી શકયા હતા..તો કોરોના ને કેમ નહીં ?
- શું સરકાર પાસે નિર્ણાયક અને સ્કિલફુલ અમલદારોની ખોટ પડી છે ?
- શું સરકારની નીતિ જ કોરોનાના વિસ્ફોટ માટે જવાબદાર છે…?
@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક
કોરોના છે કે રોકાવવાનું નામ લેતો અને સામે છેડે ચૂંટણી પંચ (સરકાર) છે કે, કોરોના ગમે તે હદે વિસ્ફોટક બને પરંતુ અમે તો ચૂંટણીઓ યોજીને જ રહીશું. ની જીદ પકડીને બેઠા છે. બન્ને વચ્ચે કાંટે કી ટક્કર જામી છે. ન કોરોના હળવો પડવા માંગે છે. ન સરકાર ચૂંટણી યોજ્યા વિના ઝપે છે. જેમાં નાગરિકો તેવા મૂક પ્રેક્ષકો છે કે, જેઓ સરકાર સામે ભારોભાર આ સ્થિતિમાં નારાજ છે. પરંતુ કોરોના થી પીસાતી આ પ્રજા ચુપચાપ સરકારી તમાશા જોયા કરે છે. આ માહોલમાં પણ ક્યાંક મેચ યોજાય છે, તો ક્યાંક સ્કૂલો ખુલે છે, વળી દિલ્હીથી દોલતા બાદ ની જેમ ફરી પાછી આ સ્કૂલો ન ખોલવા સામે નોટિફિકેશન આવે છે. તે સિવાય આઈઆઈ એમ માં પણ 62 જેટલા વિધાર્થીઓ કોરોના ની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે આ વિધાર્થીઓ અગર આટલી પુખ્ત ઉંમરે પણ જો કોરોનાની ચપેટમાં આવતા હોય તો નાના બાળકોનું શું થયું હોત ?
વધુ માં કોરોના દિવાળી પછી જરા ધીમો પડ્યો કે, સ્કૂલો, કોલેજો, ક્લાસીસ, મેચો, ચૂંટણીઓ, હોટેલ્સ, જિમ ન જાણે કઈ કેટલીય ચીજો ધમધમવા લાગી. અને સરકારના બાહોશ અને કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ તો તેવા ગેલમાં આવી ગયા કે, તબક્કાવાર સ્કૂલોના ક્લાસો ચાલુ કરી દીધા. અને છેલ્લે તો 5 માં ધોરણ સુધી ફરી ચાલુ કરી ને જ ઝપવાના હતા. પરંતુ લોકોનો ગયેલો મૂડ કોરોના ના વળતા પાણીને લીધે થોડો આવ્યો કે, સરકાર અને ચૂંટણી પંચ સાબદા થઇ ગયા. દિવાળી વખતનું કોરોનાનું તાંડવ ભૂલી ગયા. અને લોકોના મૂડને કેશ કરવા ચૂંટણીઓ યોજી નાખી. વરઘોડા બડે ધૂમધામથી નીકળ્યા. લોકોએ પણ હોંશે હોંશે ભાગ લીધો. કોઈ ભાજપી કોઈ ચુસ્ત કોંગી તો કોઈ આપ એમ સૌ એ સાથે મળી ચૂંટણીયા માહોલની લિજ્જત માણી. (જીત્યું ભાજપ એ અલગ બાબત છે ) બાકી એકલા ભાજપને પણ દોષ આપવો યોગ્ય નથી. ચૂંટણી ની હોશ તો બધા પક્ષોને હતી. આખરે તલબ લાગવાનો સવાલ હતો ને?
નાતનું પંચ ભરાય ત્યારે ભાષા તો બધાની સરખી જ હોય. આખરે મોકો સાત પેઢીને તારવાનો જો હોય. અને વળી એક બાબત તો હજી પણ નથી સમજાતી કે, જે શહેર, જિલ્લો, રાજ્ય કે જ્યાં પણ ચૂંટણી હોય ત્યાં થી કમ સે કમ આ સમય દરમ્યાન કોરોના ગાયબ જરૂર થઇ જાય છે. પછી ચૂંટણી પુરી થતા જ તે પણ ખોટ પૂરતો હોય તેમ બમણા જોશથી રમે છે. અને જે ઘરો દિવાળી તાકડે બાકી રહી ગયા હતા ત્યાં તેની હાજરી નોંધાવી તેનો ટાર્ગેટ પૂરો કરી રહ્યો છે.
તો બીજી તરફ માંડ થોડે ઘણે અંશે ચાલુ થયેલ બઝાર માં કોરોના ને ડર ના કારણે સુસ્તી આવી ગઈ છે. વળી 9 વાગ્યા ના કર્ફ્યુના કારણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વાળા 8 વાગ્યા થી જ ફરવા લાગે છે. ત્યારે કઈ કેટલાય સ્થાનો પર કરુણાસભર દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. કેટલીય નાની મોટી દુકાનવાળા તો ક્યાંક રેંકડી ધરાવતી સ્ત્રીઓ આ અધિકારીઓને આજીજી કરી રહી હોય તેવા વિડિઓ સોશિયલ મીડિયામાં જોવા મળ્યા છે. આ સ્ત્રીઓનું આક્રંદ તે હતું કે, તેમને કોરોના મારશે કે નહીં મારે પરંતુ અમારા જેવા લોકો ભૂખ થી જરૂર મરી જઈશું.
ત્યારે મિત્રો સાચું ચિત્ર આ જ છે કે, જેટલા લોકો કોરોના થી તબાહ નહીં થાય તેટલા લોકો સરકારના નીમેલા અમલદારોની ખોટી નીતિથી બરબાદ થશે. તબાહી નોતરશે. ત્યારે મનમાં એક સવાલ થાય છે કે, ઘડીમાં સરકાર નાની બચત પર નો વ્યાજ ઘટાડે છે અને તેના 24 જ કલાકમાં ફરી જુના દરો યથાવત રાખી કઈ બન્યું જ નથી તેમ ચુપકીદી ઓઢી લે છે.
ત્યારે અહીં કોઈ એક નીતિ નહીં પરંતુ દિલ્હીથી દોલતા બાદ ની યાદ અપાવતી નીતિઓ ના સિલસિલા ની વાત છે. જિમ ચાલુ કરવાનું કહ્યું જ કોણે હતું? તેવું ઘડીમાં સાંભળવા મળે છે. ઘડી માં 1 થી 9 ની સ્કૂલો બંધ કરવાની છે. ઢીંકણું બંધ કરો…ચાલુ કરો…બંધ…ચાલુ …કેમ આવો ઘાટ છે…શું સરકાર પાસે નિર્ણાયક અને સ્કિલફુલ અમલદારોની ખોટ પડી છે ? શું સરકાર પાસે સાચા અને સારા સલાહકારો નથી ? કે જે આર્થિક નીતિઓ થી લઈને ખાસ તો કોરોના સમ્બન્ધિત નિર્ણયોમાં તેમની કોઠાસૂઝનો અભાવ બતાવે છે… બાકી યાદ કરો કે, સળગતા પંજાબ ને ઠારનાર પણ આવા જ બાહોશ અધિકારી હતા. અજિત ડાભોલ, જુલીઓ રિબેરો, કેપીએસ ગિલ, રેતી માફિયાઓ સામે થનાર મહિલા અધિકારી, આર્મસ્ટ્રોંગ પામે, અશોક ખેમકા, ટી.એન સી.ચતુર્વેદી, ટી.એન.સેશન , સ્મીતા સાબરવાલ અને ગુજરાતના વિકાસમાં યોગદાન આપનાર પી.કે લહેરી જેવા અધિકારીઓ પણ હતા. અને અત્યારે પણ છે જ. પરંતુ તેમછતાં કોરોના મામલે તો કાચું કપાઈ જ રહ્યું છે. શું બંધ કરવું ને શું ચાલુ રાખાવું? ક્યાં 144 લગાવવી અને ક્યાં વરઘોડાને મૂક સમંતિ આપવી? આ બધા નિર્ણયો કઈ ચૂંટાયેલા નેતાઓ એકલા નથી લેતા. નિર્ણયો અને કાયદાઓ નો અમલ તો આખરે આ અધિકારીઓ જ કરે છે કે કરાવે છે. તે ન ભુલાય .. ત્યારે હવે બાહોશ અને સક્ષમ અધિકારીઓની ફોજને આ મોરચે સજ્જ કરવી રહી. આ અમલદારોની ફોજ અગર કોરોના મામલે કઈ સારા પરિણામો લાવી બતાવશે તો આ લાંચ્છન હટશે. અન્યથા કોરોના બર્બાદીનો આ મંજર ક્યાં સુધી ફેલાવશે તે કોઈ નહીં શકે.