Surendranagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૧મા રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ના ત્રીજા દિવસે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના છેવાડાના સરોડી ગામની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ ધોરણ-૧માં ૨૧ કુમાર તથા ૨૫ કન્યા મળીને કુલ ૪૬ તથા બાલવાટિકામાં ૨૦ કુમાર તથા ૧૭ કન્યા મળીને કુલ ૩૭ બાળકોને શાળાપ્રવેશ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યના વિવિધ જિલ્લામાં છેવાડાના ગામો તથા સુરેન્દ્રનગર જિલ્લાનાં છેવાડાનાં ગામ સરોડીએ વિકાસના અનેક કામોથી જિલ્લાના પહેલા ગામ તરીકેની ઓળખ મેળવી છે. વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો, આજે તેમનું ૨૧મું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે આટલા વર્ષોમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે શિક્ષણનું સ્તર ખૂબ સારું થયું છે અને વિદ્યાર્થીઓ શાળામાં સારું શિક્ષણ મેળવીને ડૉક્ટર, એન્જિનિયર બની રહ્યા છે.
રાજ્યના છેવાડાના વિસ્તારમાં આદિવાસી દીકરા-દીકરીઓ પણ ખૂબ સારું શિક્ષણ મેળવી રહ્યા છે. સરકારી યોજનાઓનો લાભ લઈને દરેક બાળક સારામાં સારું શિક્ષણ મેળવે તેના માટે વડાપ્રધાન તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જે પ્રયત્નો કર્યા, તેનાં સારા પરિણામ આજે જોવા મળી રહ્યા છે. શાળાઓમાં સો ટકા નામાંકન માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે તે સરાહનીય છે.
રાજ્ય સરકારે શરૂ કરેલી ‘નમો લક્ષ્મી’ તથા ‘નમો સરસ્વતી’ યોજનાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘નમો લક્ષ્મી’ યોજના ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતી દીકરીઓ માટે છે. આ તમામ ધોરણમાં ઉત્તીર્ણ થનારી વિદ્યાર્થિનીઓને સરકાર દ્વારા રૂ.૫૦ હજારની સહાય આપવામાં આવશે. જ્યારે ‘નમો સરસ્વતી’ યોજના ધોરણ ૧૧ અને ૧૨માં અભ્યાસ કરતી દીકરી તથા દીકરા બંને માટે છે. જેમાં આ બંને ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીને રૂ. ૨૫ હજારની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. જે દિકરીને ‘નમો લક્ષ્મી’ યોજનાનો લાભ મળ્યો છે તેને આ યોજનાનો પણ લાભ મળી શકશે.
સામાજિક ઉત્થાન માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત હોવાનું જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને વિકસિત બનાવવાનો નિર્ધાર કર્યો છે, વિકસિત ભારતના પાયામાં પણ શિક્ષણ એટલું જ જરૂરી છે. મુખ્યમંત્રીએ સરોડી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા કરાઇ રહેલી કામગીરીની સરાહના કરી હતી, સાથે છાત્રોની પ્રગતિ અને શિસ્તને પણ બિરદાવી હતી.
શાળામાં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાંઓનો ઉત્સાહ વધારતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે, શિક્ષકમાં અમાપ શક્તિઓ સમાયેલી છે. સામર્થ્યવાન શિક્ષક વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે ધારે તે કરી શકે છે. શ્રી રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે, “બાળકોને શિક્ષણ આપવું એટલે બાળકોને ચાહવા” ત્યારે શ્રી શાહબુદ્દીન રાઠોડે શિક્ષકોને નિષ્ણાત અને ચારિત્ર્યવાન બનવાની સાથે વિદ્યાર્થીઓ માટે હંમેશા પ્રેમ રાખવાની પ્રેરણા આપી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસ માટે પ્રતિબદ્ધતા દાખવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, જિલ્લામાં પાણીના કામો માટેનું ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યું છે. મહાનુભાવોના હસ્તે આંગણવાડી- બાલવાટિકાના ભૂલકાંઓને પોષણ કીટ તથા ધોરણ ૧ થી ૯ના નવા પ્રવેશાર્થીઓને શિક્ષણ કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. ઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ, નેશનલ મેરીટ કમ્સ મીન્સ સ્કોલરશીપમાં સમાવિષ્ટ ચાર વિદ્યાર્થીઓને તથા ધો. ૩ થી ૮મા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા આઠ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે દીકરીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અને પાકતી મુદ્દતના વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો તથા ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
જિલ્લા વહીવટી તંત્ર તથા વિવિધ પદાધિકારીઓ, અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીને તરણેતરની સ્મૃતિરૂપ તસવીર, ઝાલાવાડી પરંપરાગત છત્રી, પાઘડી, કોટી, પરંપરાગત કડિયાળી ડાંગ તથા શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી કે.સી.સંપટ, પોલીસ અધિક્ષક શ્રી ડો. ગિરીશ પંડ્યા, ચોટીલા આસિસ્ટન્ટ કલેકટરશ્રી કલ્પેશકુમાર શર્મા, ધારાસભ્યશ્રી શામજી ચૌહાણ, થાનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ સુશ્રી પુનાબહેન ચાવડા, અગ્રણી સર્વેશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી હાર્દિક ટમાલીયા, શ્રી જયેશ પટેલ, શ્રી ધીરુ સિંધવ, શ્રી કરમશી રંગપરા, શ્રી જીતુ પુજારા, સુશ્રી મંજુબેન ચાવડા સહિત અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, શિક્ષકગણ, નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ
આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો
આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ
આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો