ઠગ દંપતીએ LICને રૂ.40 લાખનો ચૂનો લગાવવામાં સફળતા તો મેળવી પણ એક ભૂલે બન્નેની પોલ ખોલી નાંખી હતી. LIC એજન્ટે જ જીવીત પત્નીને મૃત જાહેર કરી LICમાંથી રૂ.15 લાખનો કલેમ લઈ લીધો હતો. બીજી તરફ પોતાની પોલિસીમાં એજન્ટ વારસદાર તરીકે પત્નીનું નામ રાખ્યું હતું.
આ મામલે મળતી માહિતી અનુસાર,અમદાવાદના મણિનગરમાં રહેતા એક LIC એજન્ટે જીવિત પત્નીને મૃત બતાવી રૂપિયા 15 લાખનો વીમો-ક્લેમ કરાવી લીધો હતો જો કે 4 વર્ષ બાદ ભાંડો ફૂટતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વીમા કંપનીના ઓડિટ દરમિયાન એજન્સીમાં વારસદાર તરીકે પત્નીનું નામ ચાલુ રાખ્યું હોવાથી આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ચોંકાવનારી વાત એ છે કે, રૂપિયાની લાલચમાં આવી પહેલા પોતાની પત્નીને મૃતક બનાવી બાદમાં પોતે પણ મૃત્યુ પામ્યો હોવાનુ સર્ટિફિકેટ રજૂ કરી લાખો રૂપિયાની વીમા પોલિસી મેળવવા માટે ષડયંત્ર રચ્યું હતું. જો કે અંતે આ દંપતીની કરતૂતો બહાર આવતાં પોલીસે પતિ-પત્નીની ધરપકડ કરી છેતરપિંડીના ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ હાથ ધરી છે.
આપને જણાવી દઈએ કે, LICની રિલીફ રોડ બ્રાન્ચમાં જીવન પ્રકાશ બિલ્ડીંગના ત્રીજા માળે આવેલી ઓફિસના સિનિયર બ્રાન્ચ મેનેજર કૌશિક ચન્દ્રકાન્ત શાહે LIC એજન્ટ પરાગ ચન્દ્રકાન્ત પારેખ અને તેની પત્ની મનીષા (બન્ને રહે, લક્ષ્મી એપાર્ટમેન્ટ, રંગમણી સોસાયટીની બાજુમાં, મણિનગર ઈસ્ટ) વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી પરાગે તેની પત્ની મનીષાની 2012માં ટર્મ પોલિસી રૂ.15 લાખની લીધી હતી જેના હપ્તા તેઓ રેગ્યુલર ભરતા હતા. 2016માં પત્ની મૃત પામી હોવાનો દાવો કરીને તેઓએ ડોક્યુમેન્ટ રજૂ કરી ડેથ કલેમ કર્યો હતો. તેઓને એલઆઈસી તરફથી 14,96,407નો ક્લેઈમ ચૂકવાયો હતો.
2020માં વીમા કંપનીનું ઓડિટ ચાલતું હતું. ઓડિટ દરમિયાન સામે આવ્યું હતું કે મનીષા પારેખનું ડેથ સર્ટિફિકેટ શંકાસ્પદ છે અને પરાગની એજન્સીના વારસદાર તરીકે તેની પત્ની મનીષાનું નામ ચાલુ છે. જેથી અધિકારીઓએ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં આ ગઠિયાએ પોતાના આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવતા LIC માં ફરજ બજાવતા અધિકારીએ કારંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જે ફાઇલની તપાસમાં વિગતો મળી કે,પરાગભાઈની પત્નીનું મરણ થયા બાદ પણ તેઓએ પોતાની એજન્સીમાં અને રૂ.25 લાખની ટર્મ પોલિસીમાં વારસદારમાં પત્ની મનીષાનું નામ રાખ્યું છે. આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, મનીષા પારેખે પણ તેના પતિ પરાગનું મરણ થયાનું બતાવી પોલિસી ક્લેઈમ લઈ લીધો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો છે કે પરાગ પારેખે મરણ સર્ટિકિકેટ સૈજપુર વોર્ડમાં બનાવ્યું હતું. જ્યારે ડોકટરનાં સહી સિક્કા સાથેનું પ્રમાણપત્ર નરોડાની સંજીવની હોસ્પિટલનું બનાવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલમાં પોલીસે આ દંપતીની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આ મામલે ગાંધીનગરમાં પણ દંપતી વિરુદ્ધમાં ગુનો નોંધાય તેવી સંભાવના છે. આ ઉપરાંત બનાવટી સર્ટિફિકેટ તૈયાર કરનાર અન્ય આરોપીની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ