અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે રિ-ડેવલોપમેન્ટ થવાનું છે. આ રિ-ડેવલોપમેન્ટના પગલે 1 ઓક્ટોબર 2023થી 27 ઓગસ્ટ 2024 સુધી કાલુપુર રેલવે સ્ટેશન મુસાફરો માટે બંધ રહેશે એવો મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ફેક્ટ ચેક કરતાં જાણવા મળ્યું હતું કે આ મેસેજ ફેક છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના પીઆરઓ જિતેન્દ્ર જયંતે જણાવ્યું હતું કે, કાલુપુર રેલવે સ્ટેશનનું રિ-ડેવલોપમેન્ટ થવાનું છે જે અંગેની હજી ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. ટેન્ડર પ્રક્રિયા બાદ તેનું પ્લાનિંગ કરવામાં આવશે કે કેવી રીતે ગાડીઓ ચલાવવામાં આવશે કે કેમ.
સોશિયલ મીડિયામાં જે મેસેજ વાઇરલ કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટો છે. કાલુપુર રેલવે સ્ટેશન હાલમાં મુસાફરો માટે ચાલુ જ રહેવાનું છે.