મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુની જન્મ જયંતીએ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થઈ વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સર્વ ધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી વંદના કરતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો ગાંધીજીનો મંત્ર દેશ ભરમાં સાકાર કરી ક્લીન ઇન્ડીયા મૂવમેન્ટ અને સ્વચ્છ ભારત 2.0 તેમજ અમૃત મિશન 2.0 નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુકવારે પ્રારંભ કરાવ્યો છે.
અમૃત મિશન 2.0 અને સ્વચ્છ ભારત મિશન-2 નો જે શુભારંભ થયો છે તેમાં સ્વચ્છતા અને જળશક્તિના કામો – સાતત્યપૂર્ણ વિકાસ થકી ગુજરાત અગ્રેસર રહી ને ગાંધીનું આ ગુજરાત નવી ઊંચાઈ સિદ્ધ કરશે. ગાંધીજીના ગ્રામોત્થાન -સ્વચ્છતા મંત્ર સાર્થક કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વરાજ થી સુરાજ્યની સંકલ્પ સિદ્ધિ ગુજરાતના સંદર્ભમાં વર્ણવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સર્વ સમાવેશક વિકાસયાત્રા આગળ ધપાવતા ગુજરાતમાં ‘સ્વચ્છ ભારત મિશન ફેઝ-2’ અંતર્ગત સસ્ટેઇનેબલ સેનિટેશન, ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટર, સસ્ટેઇનેબલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, કેપેસિટી બિલ્ડીંગ તેમજ સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવી એક જનઆંદોલનના રૂપમાં વિસ્તારવા આવી રહ્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું કે, રાજ્યના હરેક નાગરિકે સ્વચ્છતા ને સહજ સ્વભાવ બનાવી સ્વચ્છ ભારત અભિયાનના બીજા તબક્કામાં પણ ગુજરાતને આપણે અગ્રેસર રાખીએ. ક્લિન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ રાજ્યના દરેક ગામો, નગરો અને શહેરોમાં 31 ઓકટોબર સુધી ‘સ્વચ્છ ભારત – સુંદર ભારત’ અમૃત 2.0 અંતર્ગત 31 અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો અને રાજ્યના તમામ શહેરોમાં પાણી પુરવઠાના કામો થશે.
અમૃત 2.0 મિશન’ હેઠળ તમામ અર્બન લોકલ બોડી (શહેરી સત્તામંડળ) અંતર્ગત આવતા ઘરોને નળથી પાણી આપવા, 31 અમૃત શહેરોમાં ઘરોને સુએજ-સેપ્ટેજ કનેક્શન આપવા, જળાશય અને કુવાઓનો જીર્ણોદ્ધાર ઉપરાંત વોટર સિક્યુરિટી, અર્બન પ્લાનિંગ અને માર્કેટ ફાઇનાન્સ મોબિલાઇઝેશન જેવા રિફોર્મ કરવામાં આવશે.
અમૃત મિશન અંતર્ગત પ્રથમ તબક્કા માં ગુજરાતે દેશભરમાં ત્રીજા સ્થાન પર રહીને 2800 કરોડ રૂપિયાના ખર્ચે મહત્વપૂર્ણ 305 કામો પૂર્ણ કર્યા છે. 31 શહેરમાં પીવાનું શુધ્ધ પાણી પુરૂં પાડવા માટે 95 કામો પૂર્ણ કર્યા છે. આ કામોના ફળસ્વરૂપે 1 લાખ 70 હજાર ઘરોમાં કનેક્શન પુરાં પાડ્યાં છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં પ્રથમ તબક્કામાં ‘સ્વચ્છ ભારત મિશન’ અને ‘અમૃત મિશન’ને જ્વલંત સફળતા પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ઉમેર્યું હતું કે, ગાંધીજીના સ્વચ્છતાના વિચારો આજના પરિપ્રેક્ષ્યમાં એટલા જ રિલેવન્ટ છે. એટલું જ નહીં, યુવા પેઢીને આવનારી પેઢીને ગાંધી આચાર-વિચાર શાશ્વત મૂલ્યો આત્મસાત કરવાની પ્રેરણા આપતો આ દિવસ છે.
ગાંધીજીએ ગ્રામીણ ઉત્થાન,અંત્યોદય વિકાસ અને અસ્પૃશ્યતા નિવારણનાજે કાર્યો ઉપાડેલા તે આજે સમરસ સમાજ અને સૌના સાથ સૌના વિકાસની નેમથી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાકાર કરે છે. ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને પ્રધાનમંત્રીએ એક સામાજીક અભિયાન તરીકે ઉપાડીને દેશભરમાં જાગૃતતા લાવવાનું કામ હાથ ધર્યુ, તે જોતજોતામાં વિરાટ જન અભિયાન બન્યુ છે.
આ તકે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના સપૂત નરેન્દ્રભાઇએ બરાબર સાત વર્ષ પહેલા ગાંધીજીના જન્મદિન–2 ઓક્ટોબર, 2014ના દિવસે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન છેડીને સ્વચ્છતાનો પૈગામ જનજન સુધી પહોંચાડ્યો હતો. મહાત્મા ગાંધીએ સ્વરાજ્ય અપાવ્યું-ગ્રામોત્થાન માટે દરિદ્રનારાયણના ઉત્થાન માટે આપણને માર્ગ ચિંધ્યો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરાજ્યની યાત્રા આરંભી છે.
મહાત્મા ગાંધીની જન્મભૂમિએ તેમની 152મી જન્મજ્યંતિએ ગાંધી વંદના કરવાની મને તક મળી તે માટે મારી જાતને ભાગ્યશાળી સમજું છું એમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું કે, સત્ય અહિંસા અને સ્વચ્છતાના વિચારને આત્મસાત કરી બાપુને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીએ. અહિંસાના પૂજારી પૂજ્ય બાપુ કહેતા કે પ્રાર્થના જ આ દુનિયાની સૌથી મોટી શક્તિ છે.ગાંધીજી પોતે પણ આજીવન પ્રાર્થનામાં વિશ્વાસ ધરાવતા હતાં. પ્રાર્થનાના માધ્યમથી ગાંધી વિચારને, ગાંધીજીની ભાવનાને હૃદયમાં ઉતારવાનો આ ગાંધી જ્યંતી એક અવસર છે.
સુદામાપુરી પોરબંદરમાં જન્મેલા ગાંધી આજે પણ વિશ્વભરમાં પ્રસ્તુત છે તેની પ્રતિતિ પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિરની મુલાકાતે દર વર્ષે લાખો પ્રવાસીઓ દેશ-વિદેશમાંથી આવી રહ્યા છે તેનાથી થાય છે.
મુખ્યમંત્રીએ સગૌરવ જણાવ્યું કે પ્રવાસીઓને કીર્તિ મંદિર વિશેની માહિતી ઓનલાઇન મળી રહે તે માટે આજથી કીર્તિ મંદિરની વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી છે.
સામાન્ય જનતાને જનતા જનાર્દન રૂપી સાચી ઓળખ આપવાની અદભુત ક્ષમતા ગાંધીજી પાસે હતી. આઝાદીનું આંદોલન જનસમાજની સક્રીય ભૂમિકા વિના સફળ થઈ શકે નહીં એ હકીકતથી ગાંધીજી સુપેરે પરીચીત હતા. તેથી એમણે આઝાદી આંદોલનના એકે એક અભિયાન પાછળ જનશકિતને જોડી જૂલ્મો-અત્યાચારો સામે પણ અડિખમ રહેવાની આંતરઉર્જા યુવાનો-મહિલા-આબાલવૃધ્ધ સૌમાં એમણે જગાવી હતી.
આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરતા કહ્યું કે, ગાંધીજીના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. મંત્રીએ ગાંધીજીના અહિંસાના માર્ગે ન્યાય અપાવવાના ગાંધીજીના સિદ્ધાંતો નો ઉલ્લેખ કરીને ગાંધી વિચારધારા આત્મસાત કરવા જણાવ્યું હતું.
પ્રાર્થના સભામાં ઉપસ્થિત ભાગવતાચાર્ય ભાઈ રમેશભાઈ ઓઝાએ, જણાવ્યું હતું કે સત્યાગ્રહ એટલે હડતાલ નહીં પરંતુ સત્યનો સાચા અર્થમા આગ્રહ. ગાંધીજીના વિચારો ને જણાવતા ભાઇશ્રીએ કહ્યું હતું કે, મન વચન કર્મ ભાવ થી કઈ રીતે ઈશ્વર સ્વરૂપ સત્યને આત્મસાત્ કરી શકાય તેની પ્રેરણા આપણને ગાંધીજીમાંથી મળે છે.
આ તકે મુખ્યમંત્રીએ કીર્તિમંદિરમાં ગાંધી સ્મૃતિ ઘર, ચરખા પોઇન્ટની પણ મુલાકાત લીધી હતી. પોરબંદરના કલેકટર અશોક શર્મા લિખિત પુસ્તક મોહન સે મોહનનું પણ વિમોચન કર્યું હતું.
પોરબંદરની સરકારી શાળાના શિક્ષકો – ગાયક કલાકારોએ ગાંધીજીના પ્રિય ભજનો વૈષ્ણવજન તો તેને કહીએ તેમ જ વિવિધ પ્રાર્થના ભાવમય રીતે રજૂ કર્યા હતા. મુખ્યમંત્રીએ હવેલી મંદિરના પણ દર્શન કર્યા હતા.
ક્લીન ઇન્ડિયા અંતર્ગત મુખ્યમંત્રીએ પોરબંદર થી સ્વચ્છતા રેલીનું પણ પ્રસ્થાન કરાવ્યું હતુ.
સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સાંસદ રામભાઈ મોકરીયા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના મંજુબેન કારાવદરા, નગરપાલિકાના પ્રમુખ સરજુભાઇ કારીયા ,કલેકટર અશોક શર્મા તેમજ રેન્જ આઇજી સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.