ટાટા દ્વારા એર ઈન્ડિયાના ઔપચારિક અધિગ્રહણ બાદ, ફ્લાઈટ્સમાં કોકપિટ ક્રૂ માટે એક નવો જાહેરાત પરિપત્ર સામે આવ્યો છે. નવી જાહેરાત મુજબ, “પ્રિય મુસાફરો…આ ઐતિહાસિક ફ્લાઇટમાં આપનું સ્વાગત છે, આ એક ખાસ ક્ષણ છે…એર ઇન્ડિયા 7 દાયકા પછી ફરીથી ટાટા ગ્રુપનો ભાગ છે. એર ઇન્ડિયાના ભવિષ્યમાં આપનું સ્વાગત છે ”
ટાટા જૂથે સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા પછી ૮ ઓક્ટોબર, ૨૦૨૧ ના રોજ સરકાર પાસેથી એર ઈન્ડિયાને રૂ. ૧૮,૦૦૦ કરોડમાં પાછું મેળવ્યું હતું. તે પછી ઑક્ટોબર ૧૧ ના રોજ ટાટા જૂથને ઉદ્દેશ્ય પત્ર જારી કરવામાં આવ્યો, જે એરલાઇનમાં તેનો ૧૦૦ ટકા હિસ્સો વેચવાની સરકારની ઇચ્છાની પુષ્ટિ કરે છે.
કેન્દ્ર સરકારે ગુરુવારે એરલાઈન એર ઈન્ડિયાને ટાટા ગ્રૂપને સોંપ્યા બાદ ટાટા ગુરુવાર એટલે કે આજથી જ પોતાની ફ્લાઈટ્સમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે. જો કે, હાલ માટે, ગુરુવારથી જ એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ટાટા જૂથના બેનર હેઠળ ઉડશે નહીં. નોંધનીય છે કે લગભગ ૬૯ વર્ષ પહેલા ગ્રુપ પાસેથી એરલાઈન લીધા બાદ હવે તેને ફરીથી ટાટા ગ્રુપને સોંપવામાં આવી રહી છે, અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી છે.
સૌથી પહેલા તો તે સારો નાસ્તો આપવાનું શરૂ કરશે. ટાટા જૂથે ગુરુવારે મુંબઈથી કાર્યરત ચાર ફ્લાઈટ્સ પર ‘એડવાન્સ્ડ મીલ સર્વિસ’ શરૂ કરીને એર ઈન્ડિયામાં તેનું પ્રથમ પગલું ભર્યું છે, એમ ખાનગી કંપનીના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું.