જેતપુરના પેઢલા ગામના ચકચારી મગફળી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ગણાતા મગન ઝાલાવાડિયાની જામનગર રોડ પર આવેલી હોટેલ ન્યારી પેલેસને ગઈકાલે મંગળવારે રાત્રે પ્રાંત અધિકારી (રાજકોટ ગ્રામ્ય) પ્રજ્ઞેશ જાની દ્વારા સીલ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાની સૂચના મુજબ ગઈકાલે મંગળવારે રાત્રે રેવન્યુ વિભાગની ટીમ ન્યારી પેલેસ ખાતે ત્રાટકી હતી. ખેતીલાયક જમીનમાં બિનખેતી કરાવ્યા વગર ખડકી દેવામાં આવેલી કરોડો રૂપિયાની કિંમતની હોટેલ ન્યારી પેલેસ સીલ કરવામાં આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
હોટેલ ન્યારી પેલેસની બરોબર બાજુમાં સરકારી ખરાબાની ચાર એકર જમીન છે અને તેમાં પંચવટી કાર્યક્રમ અંતર્ગત થોડા સમય અગાઉ સરકાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ જગ્યા પણ મગન ઝાલાવાડિયાએ દબાવી લીધાનું જણાતા તે દબાણ દૂર કરવામાં આવ્યું છે.
ગુજકોટના મેનેજર અને મગફળી કૌભાંડના મુખ્ય સૂત્રધાર મગન ઝાલાવાડિયાની ન્યારી પેલેસ હોટેલમાં 901 એકર જમીન હતી પરંતુ આસપાસની સરકારી ખરાબાની અને પાણીના વ્હેણની જગ્યા દબાવી 9 હજાર ચોરસ મીટર જમીનમાં હોટેલ ખડકી દેવામાં આવી હતી. મગન ઝાલાવાડિયા પાસે આ હોટેલ માટે લાયસન્સ પણ ન હોવાનું ખૂલવા પામ્યું હતું. બાજુની સરકારની માલિકીની ચાર એકર જમીનમાં સામાજિક વનીકરણમાં વૃક્ષો ઉછેરાયા હતા ત્યાં દબાણ કરીને હિંચકા, લપસીયા અને ટોઈલેટ બ્લોક બનાવી દેવાયા હતા.
પ્રાંત અધિકારી જાનીએ જણાવ્યું હતું કે, આ હોટેલમાં અનેક પ્રકારની ગેરરીતિઆે બહાર આવી છે. હાલ તુરંત કલેકટરના આદેશ મુજબ હોટેલ સીલ કરી દેવામાં આવી છે અને હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે.