વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી વિજય વલ્લભ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને ફાયર વિભાગ દ્ધારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. ફાયર વિભાગે તમામ દર્દીઓને સહિસલામત બહાર કાઢ્યા હતા. દર્દીઓને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વિજય વલ્લભ હોસ્પિટલમાં દર્દીઓના હોસ્પિટલ તંત્ર સામે રોષ ઠાલવીને હોબાળો મચાવ્યો હતો.
વિજય વલ્લભ હોસ્પિટલમાં લાગેલી આગના બનાવની જાણ થતાં મેયર કેયુર રોકડિયા, ડે. મેયર નંદાબેન જોષી, સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ તેમજ સ્થાનિક કાઉન્સિલરો તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સાથે જીઇબીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી વીજપુરવઠો બંધ કરી દીધો હતો. સલામતીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા માંડવી પાણીગેટ વચ્ચેનો વાહન વ્યવહાર પણ બંધ કરી દીધો હતો.
મહત્વનું છે કે અગાઉ સપ્ટેમ્બર 2020માં વડોદરાની એસએસજી હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. ICU વૉર્ડમાં જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, ત્યાં આગ લાગી હતી. આ ઉપરાંત અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં તથા જામનગર અને બોડેલી હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં પણ આગ લાગવાના બનાવ બની ચૂક્યા છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં 8 વ્યક્તિઓના મોત નીપજયા હતા. ઘટના સમયે હોસ્પિટલમાં કુલ 49 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. તો ચાલુ વર્ષે જાન્યુઆરીમાં અમદાવાદની બારેજામાં આવેલી આસ્થા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના શેડમાં આગ ભભૂકી ઉઠી હતી. જો કે તેમાં કોઇ જાનહાની થઇ નહોતી.