રવિવારે દેશભરમાં રામ નવમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક રાજ્યોમાં સરઘસ દરમિયાન કોમી અથડામણ પણ જોવા મળી હતી. ગુજરાતમાં એક સરઘસ દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક ઘાયલ થયો હતો. મધ્યપ્રદેશમાંથી પણ હિંસાના અહેવાલો સામે આવ્યા છે. ઝારખંડમાં, સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને સરઘસમાં સામેલ લોકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ડઝનેક લોકો ઘાયલ થયા હતા.
ચાલો દેશના તે રાજ્યોની સ્થિતિ પર એક નજર કરીએ જ્યાં સરઘસ દરમિયાન હિંસક પ્રદર્શનો થયા હતા.
ગુજરાતમાં એકનું મોત
ગુજરાતના હિંમતનગર અને ખંભાત શહેરમાં કોમી અથડામણ દરમિયાન પથ્થરમારો કરનારા ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો. ખંભાત શહેર આણંદ જિલ્લામાં આવે છે જ્યારે હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં આવે છે. ખંભાતમાં રવિવારે બપોરે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે પથ્થરમારાની ઘટના બાદ ઘટનાસ્થળેથી 65 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ અધિક્ષક અજિત રાજ્યને કહ્યું હતું કે આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો જ્યારે લુખ્ખાતત્વોએ કેટલીક દુકાનોને આગ ચાંપી દીધી હતી. બાદમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મધ્યપ્રદેશમાં પથ્થરમારો
મધ્યપ્રદેશના ખરગોન શહેરમાં રવિવારે રામનવમીના શોભાયાત્રા પર લુખ્ખાતત્વોએ પથ્થરમારો કર્યા બાદ આગચંપી દેવાની ઘટનાઓ બની હતી, જેમાં કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના બાદ પ્રશાસને શહેરના ત્રણ વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દીધો હતો, જ્યારે સમગ્ર શહેરમાં કલમ 144 લગાવી દેવામાં આવી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો હતો. આ પથ્થરમારામાં ખરગોનના પોલીસ અધિક્ષક સિદ્ધાર્થ ચૌધરી અને અન્ય બે પોલીસકર્મીઓ સહિત કેટલાક નાગરિકો ઘાયલ થયા હતા. ખરગોનના જિલ્લા મેજિસ્ટ્રેટ અનુગ્રહ પી.એ જણાવ્યું કે સમગ્ર શહેરમાં CrPCની કલમ 144 લાગુ કરવામાં આવી હતી.
ઝારખંડમાં તીક્ષ્ણ હથિયારોથી હુમલો
ઝારખંડના લોહરદગા જિલ્લાના હિરાહી ભોક્તા ગાર્ડન વિસ્તાર પાસે રામ નવમીના શોભાયાત્રા પર પથ્થરમારો અને ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા, જેના કારણે સમગ્ર જિલ્લામાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. પરિસ્થિતિને જોતા વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે લોહરદગામાં કુજારા બાજુથી રામ નવમીનું સરઘસ આવી રહ્યું હતું ત્યારે કબ્રસ્તાનની નજીક અન્ય સમુદાયના કેટલાક લોકોએ તેમને સૂત્રોચ્ચાર ન કરવા કહ્યું. પરંતુ કોઈને કંઈક સમજાય ત્યાં સુધીમાં સરઘસમાં સામેલ કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પથ્થરમારો કર્યા બાદ લુખ્ખાતત્વોએ મેળામાં બે ઘરો એક મીઠાઈની દુકાન, એક પીક-અપ વાહન અને 10 બાઈકને આગ ચાંપી દીધી હતી.
પશ્ચિમ બંગાળમાં હંગામો
પશ્ચિમ બંગાળના હાવડામાં રવિવારે રામ નવમીના શોભાયાત્રા પર કથિત રીતે હુમલો થયો હતો. ઘટનાની પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સુરક્ષા દળોનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિપક્ષ ભાજપનો આરોપ છે કે રામનવમીના સરઘસ પર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે સોશિયલ મીડિયા પર ઘટનાની માહિતી પોસ્ટ કરતી વખતે હાવડાના રહેવાસીઓને સંયમ રાખવા જણાવ્યું હતુ.