રોહિત શર્માએ T-20 માં પોતાનો પૂરો દમખમ બતાવ્યો છે. તેણે સાબિત કર્યુ છે કે હાલમાં તે ટી-20 ક્રિકેટનો ખૂબ જ સારો કેપ્ટન છે. IPL 2020 માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે એકવાર ફરી ટાઇટલ જીતી પોતાને આઈપીએલનાં બાદશાહ તરીકે સાબિત કરી બતાવ્યુ છે. ત્યારે આ ટીમનાં કેપ્ટન રોહિત શર્માએ પોતાની કેપ્ટનશપીથી દરેકનું દિલ જીત્યુ છે. રોહિત શર્માની કેપ્ટનશીપને લઇને હવે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ એક મોટુ નિવેદન આપ્યુ છે.
ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનું માનવુ છે કે, જો રોહિત શર્માને ટી 20 ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં નહીં આવે તો તેનાથી ભારતનું નુકસાન છે. રોહિતની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીતવામાં સફળ રહી છે. રોહિતે દિલ્હી કેપિટલ્સ સામેની અંતિમ મેચમાં 68 રનની ઇનિંગ પણ રમી હતી. આવી સ્થિતિમાં ગંભીરે કહ્યું છે કે, “જો રોહિત શર્મા ભારતીય કેપ્ટન નહીં બને, તો તે તેમનુ નુકસાન છે, રોહિતનું નહીં.”
ગંભીરે કહ્યું, “હા, કેપ્ટન તેટલો જ સારો હોય છે જેટલી સારી તેની ટીમ હોય છે અને હુ તેનાથી પૂરી રીતે સંમત છુ પરંતુ કેપ્ટનને પારખવાની રીત શું છે, કોણ સારો છે અને કોણ નહી? રોહિતનાં નેતૃત્વ હેઠળ મુંબઇએ પાંચ આઈપીએલ ટાઇટલ જીત્યા છે. તેમણે ઉમેર્યું, ” આપણે બધા ધોનીને સફળ કેપ્ટન માનીએ છીએ. તેનું કારણ એ છે કે તેની આગેવાનીવાળી ટીમે બે વર્લ્ડ કપ અને ત્રણ આઈપીએલ ટાઇટલ જીત્યા છે. તો રોહિતે 5 આઈપીએલ ટાઇટલ પણ જીત્યા છે. તે ટૂર્નામેન્ટનાં ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન છે. જો તેને આગામી સમયમાં ભારતની વન-ડે અથવા ટી-20 ટીમનો કેપ્ટન બનાવવામાં નહીં આવે તો તે શરમજનક છે.
ગંભીરે કહ્યું કે, ‘તેઓ કેપ્ટનશિપ ડિવાઇડ કરવા પર વિચાર કરી શકે છે. કોઈ ખરાબ નથી. રોહિતે બતાવ્યું છે કે કેવી રીતે મર્યાદિત ઓવરોમાં તેની કેપ્ટનશીપ અને કોહલીની કેપ્ટનશીપ વચ્ચે મોટો તફાવત છે. એક ખેલાડીની આગેવાનીમાં તેની ટીમે પાંચ ખિતાબ જીત્યા હતા, જ્યારે કોહલીની અધ્યક્ષતામાં આરસીબી હજી સુધી એક પણ ટાઇટલ જીતી શક્યું નથી. ગંભીરે કહ્યું કે, હું એમ નથી કહી રહ્યો કે કોહલી ખરાબ કેપ્ટન છે. પરંતુ બંનેને સમાન તકો મળવી જોઈએ. તમારે બંનેને એક જ સ્કેલ પર માપવા પડશે.’