પાટડી તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત ઘુડખર અભયારણ વિસ્તારમાં ઘુડખર, યાયાવર પક્ષીઓ, રણ લોંકડી જેવા પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં થોડા સમયથી ઝરખની સંખ્યામાં પણ વધારો થવા પામ્યો છે. હાલ બજાણા અભ્યારણ વિસ્તારમાં પાંચથી વધારે ઝરખ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પાટડીથી સવલાસ મામાની દેરી પાસે આવેલા પુલ નજીક ઝરખ જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બજાણા ઘુડખર અભ્યારણના આર.એફ.ઓ.અનિલ રાઠવાને જાણ થતાં વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તપાસમાંમાં સામે આવ્યું હતું કે, ઝરખ ખોરાકની શોધમાં આવ્યું હોવાનું જાણવા મળે છે તથા ઝરખ માદા હોવાનું પણ જાણવા મળ્યું હતું. બજાણા ઘુડખર અભ્યારણ વિસ્તારમાંથી રોડની નજીક ઝરખે દેખા દેતા વન વિભાગ દ્વારા સતત મોનીટરીંગ રાખવામાં આવ્યું હતું ઝરખ અભ્યારણ વિસ્તારમાં જ હોવાથી તેને રેસ્ક્યું કરી અન્ય વિસ્તારમાં લઇ જવામાં આવશે નહીં. પરંતુ ઝરખે દેખા દીધી છે, ત્યાં સવલાસ અને બજાણા ગામ નજીક હોવાથી આગામી દિવસોમાં ઝરખનું રેસ્ક્યુ કરી માનવ વસાહતથી અભયારણ્ય વિસ્તારની અંદર લઈ જવા પ્રયત્ન હાથ ધરવામાં આવે તેવુ જાણવા મળ્યુ હતુ.
કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતું અને ગરદન પર ઉગેલા વાળના લીધે ભરાવદાર અને વિચીત્ર દેખાવને લીધે કુતરા કરતા મોટા કદનું લાગતા દુર્લભ ઝરખનું રહેઠાણ બજાણા વીડમાં મળી આવ્યું છે. આ વેરાન જગ્યા પર ઝરખના વિવિધ સંખ્યાબંધ દરો અને અસંખ્ય મૃત પશુઓના હાડકા અને ઝરખની હગાર મળી આવી હતી.
ઝરખ સામાન્ય રીતે રણમાં જોવા મળતું મૃતોપજીવી પ્રાણી છે. મરેલા પ્રાણીના માંસ અને હાડકા ઝરખનો મુખ્ય ખોરાક હોવાથી તેને કુદરતનો સફાઇ કામદાર કહેવામાં આવે છે. ત્યારે ખારાઘોડાથી 25થી 30 કિ.મી.દૂર બજાણા વીડમાં ઝરખનું અનોખું રહેઠાણ મળી આવ્યું હતુ. ઝરખના આ અનોખા રહેઠાણમાં એક દરમાંથી બીજા દરમાં આસાનીથી જઇ શકાય તેવા લાઇનબધ્ધ દર મળી આવ્યા હતા. અને દરની બહાર ગાયના શીંગડા અને સંખ્યાબંધ હાડકા પણ મળી આવ્યા હતા.
આ અંગે વનવિભાગના જણાવ્યાનુસાર 10 કિ.મી.અંતરમાં મૃત પશુઓની સુંગધને ઝરખ આસાનીથી પારખી લે છે અને ત્યારબાદ મૃત પશુઓને પોતાના રહેઠાણ પાસે ઢસડીને લઇ જઇ આરામથી એને આરોગે છે. જેના લીધે ઝરખને કુદરતનું સફાઇ કામદાર કહેવામાં આવે છે.વનવિભાગ દ્વારા સને 1990માં સૌ પ્રથમવાર ઝરખની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં ઝરખની સંખ્યા 97 હતી. જે સને 1995માં વધીને 1367 થઇ હતી. અને વનવિભાગ દ્વારા છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર ઝરખની સંખ્યા 897 નોંધાઇ હતી.
ઝરખ સામાન્ય રીતે અન્ય પશુઓ સાથે ઘર્ષણમાં ઉતરવાનું ટાળે છે. પરંતુ પોતાનો શિકાર બચાવવાની નોબત આવે ત્યારે ઝરખ દિપડા જેવા પ્રાણીની સામે થાય છે. કુતરાઓના સંકજામાંથી છટકી શકાય એ માટે ઝરખ પોતે મરી ગયું હોવાનો ઢોંગ કરવામાં પણ માહિર હોય છે.