દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી ગયા છે. બંને નેતાઓ અયોધ્યા એરપોર્ટ પર ઉતર્યા અને સીધા રામજન્મભૂમિ પરિસર ગયા. બંને નેતાઓ ગેટ નંબર 11થી રામજન્મભૂમિ સંકુલમાં પ્રવેશ્યા હતા. તેઓ રામલલાના દરબારમાં દર્શન અને પૂજા કરી. રામ લલાના દર્શન કરવા પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે મને અવર્ણનીય શાંતિનો અનુભવ થયો. આ પહેલા બંને મુખ્યમંત્રી મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પર ઉતર્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલા આ મુલાકાત કેજરીવાલ અને ભગંવત માનની અયોધ્યા મુલાકાતને રામ મંદિરને સમર્થન દર્શાવીને લોકોની સહાનૂભૂતિ મેળવવાનો પ્રયાસ બતાવવામાં આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર CM (દિલ્હી) કેજરીવાલ પોતાના માતા-પિતા સાથે અને CM (પંજાબ) ભગવંત માન પોતાના પરિવાર સાથે અયોધ્યામાં રામલલાના દર્શન કરવા પંહોચી ગયા છે. બંને નેતાઓ પોતાના પરિવાર સાથે રામલલાના દર્શન કરવા દિલ્હીથી ચાર્ટર્ડ ફલાઈટ દ્વારા અયોધ્યા એરપોર્ટ પર ઉતર્યા બાદ રામ મંદિર પંહોચ્યા હતા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રામલલાના દર્શન કર્યા.
રસપ્રદ વાત છે કે આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને 22 જાન્યુઆરીના રોજ થનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું છતાં ઉપસ્થિત થયા નહોતા. બંને નેતાઓએ આમંત્રણનો સ્વીકાર કરતા કહ્યું હતું કે અમે પછી પરિવાર સાથે અયોધ્યા જઈશું. જો કે 22 જાન્યુઆરીના રોજ તેમણે રાજધાની દિલ્હીમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી ખાસ બનાવવા શોભાયાત્રા જેવા વિવિધ આયોજન કર્યા હતા.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન રામ મંદિરની મુલાકાતે છે ત્યારે ભાજપે AAP વડાના કેટલાક વીડિયો શેર કર્યા હતા જેમાં તેઓ મતદાન મેળવવા ભાજપ રામ મંદિર મુદ્દાને ઉછાળતો હોવાનું આ વીડિયોમાં આક્ષેપ કરતા હતા. 2018માં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને ભાજપે જોરદાર પ્રચાર કરતા આપ પાર્ટી નેતા દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર મુદ્દે કેજરીવાલે યુ ટર્ન લેતા કહ્યું કે ભગવાન રામના આર્શીવાદ ભારત દેશ પર રહે અને દેશ ભૂખમરાથી મુક્ત થાય તેમજ ભારત વિશ્વના સૌથી શક્તિશાળી દેશ તરીકે ઉભરી આવે તેવી આશા વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે આપ પાર્ટીએ ‘પ્રાણ પ્રતિષ્ઠા’ નિમિત્તે 22 જાન્યુઆરીએ સમગ્ર દિલ્હીમાં ‘શોભા યાત્રાઓ’ અને ‘ભંડારો’ યોજવા સાથે સમગ્ર દિલ્હીમાં ‘સુંદરકાંડ પથ’નું આયોજન કર્યું હતું. દિલ્હીના CM અને પંજાબના CM ભગવંત માન રામલલાના દર્શન કરવા આજે પરિવાર સાથે અયોધ્યાની મુલાકાતે છે. બે દિવસ પહેલા જ અમિતાભ બચ્ચને રામ મંદિરની બીજી મુલાકાત લીધી હતી. હાલના દિવસોમાં રામ મંદિરમાં વિશેષ અતિથિઓની મુલાકાતમાં વધારો થયો છે.