કોરોનાના વધી રહેલા આંકડાઓ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર માટે માથાના દુખાવા સમાન બની રહ્યા છે. રાજ્યમાં પણ એક વર્ષ પૂરા થવા છતાં કોરોના સંક્રમણની સ્થિતિ વકરતી જાય છે. ગુજરાત સહિત ભારતમાં કોરોનાનો કહેર વધતો જાય છે. ત્યારે દેશભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં દિવાળી બાદ લાદવામાં આવેલા રાત્રિ કરર્ફ્યું બાદ કોરોના પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે અને કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિને જોતા આગામી સમયમાં રાત્રી કર્ફ્યૂને લઇને નિર્ણય લેવામાં આવી શકે છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ચોક્કસ સમયે નિર્ણય લેશે પરંતુ આ અંગે કેમેરા સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાત્રી કર્ફ્યુ અંગે કશું પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
કોરોનાના વધી રહેલા આંકડા સામે સરકાર પણ નિર્ણય લેવામાં અવઢવ અનુભવી રહી હોય તેવું લાગી રહ્યું છે.રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાનાં આંકડા વધી રહ્યા છે ત્યારે અમદાવાદ જેવા મોટા શહેરોમાં સરળતાથી કોરોનાના ટેસ્ટ શહેરીજનો કરાવી શકે તે માટે ફરી એકવાર મોટી સંખ્યામાં કોરોના ડોમ ઉભા કરાય છે. યુવાનોથી લઈ વૃદ્ધો કોરોના ડોમમાં વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા આગામી 5 દિવસ ફરી એકવાર મહત્વપૂર્ણ બની રહેશે. કોરોના કેસો વધતા નાઈટ કર્ફ્યૂ મહાનગરોમાં વધારવામાં આવશે તેવી ચર્ચાઓએ પણ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે.
એક તરફ જ્યારે કોરોના ફુફાળો મારી રહ્યો છે, ત્યારે શહેરીજનોના સ્વાસ્થ્ય અને ખતરો તોળાઈ રહ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા કોરોના ટેસ્ટિંગ ડોમમાં કતાર જોવા મળી રહી છે. શહેરીજનો કોરોના ટેસ્ટ કરાવવા લાઈન લગાવી રહ્યા છે. શહેરમાં ફરી એકવાર 1 દિવસમાં 150 કોરોનાના કેસો નોંધાતા ફરી શહેરીજનો તેમજ તંત્રની ચિંતા વધી છે. કોરોના ટેસ્ટિંગ ડોમમાં કોરોના ટેસ્ટ કરી તાત્કાલિક રિપોર્ટ આપવામાં આવે છે.