- ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અને તેની આસપાસના ઘટનાચક્ર ની વિગતો
- વિરોધી નેતાઓનો જેલવાસ અને અખબારો પરની સેન્સરશીપ ઇંદિરાગાંધીને ભારે પડી અને સત્તા ગુમાવવી પડી. જાે કે તેમણે ૧૯૮૦માં લોકોના દિલ જીતી સત્તા પાછી મેળવી પણ હતી
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
‘કટોકટી’ શબ્દ બહુ પ્રચલિત છે. આર્થિક કટોકટી, રાજકીય કટોકટી અને છેલ્લે વિશ્વાસની કટોકટી પણ આવી જાય છે. જેમ ઓગસ્ટ માસ આવે એટલે ક્રાંતિની વાતો શરૂ થઈ જાય છે તેવી જ રીતે જૂન માસ આવે એટલે કટોકટી અને કાળા દિવસની વાત શરૂ થઈ જાય છે. હવે તો સત્તાધારી પક્ષ પણ કટોકટીના કાળા દિવસની ઉજવણી કરતો થઈ ગયો છે. જાે કે કાળા દિવસની ઉજવણી કરનારા પોતાના દિલ્હીના જે કોઈ બોસ હોય તેણે વગાડેલી જૂની રેકોર્ડ વગાડતા હોય છે. પણ આમાના ઘણાને ખબર નથી કે કટોકટી કઈ બલા છે ? હતી શબ્દ નથી વાપરતા. જેમ ભ્રષ્ટાચાર એક યા બીજા સ્વરૂપે હયાત જ હોય છે તેમ કટોકટી પણ બદલાયેલા સ્વરૂપે હયાત હોવાના ગાણા ગવાતા રહે છે.
૧૯૭૪ આસપાસ ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું. ગુજરાતમાં નવેસરથી વિધાનસભાની ચૂંટણી ૧૯૭૫માં યોજાઈ અને ગુજરાતમાં પ્રથમ વખત બીનકોંગ્રેસી સરકાર એટલે કે તત્કાલીન જનસંઘ અને સંસ્થા કોંગ્રેસની રચાઈ. આ સમયગાળામાં સર્વોદય નેતા જયપ્રકાશ નારાયણે બિહારમાંથી શરૂ કરેલું સંપૂર્ણ ક્રાંતિ આંદોલન દેશભરમાં પ્રસરી રહ્યું હતું. આ બધા વચ્ચે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીની રાયબરેલીમાં યોજાયેલી ચૂંટણી અલ્હાબાદ હાઈકોર્ટે રદ કરી. હવે તે વખતના રાજકીય વર્તૂળોએ પોતાના પુસ્તકોમાં નોંધ્યું છે તે પ્રમાણે ઈંદિરા ગાંધીએ રાજીનામું આપવાના બદલે પોતાના ગાઢ સાથીદારો પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રે, તેમના પ્રધાનમંડળના વિદ્યાચરણ શુકલ, ઓમ મહેતા જેવા પ્રધાનો અને પોતાના નાના પુત્ર સંજય ગાંધીની સલાહ મુજબ ૨૬મી જુનથી દેશમાં વટહુકમના માધ્યમથી કટોકટી લાદી દીધી. તે વખતે ભારતના રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદ હતા. જાે કે તે વખતના કેટલાક વિશ્લેષકો કહે છે તે પ્રમાણે તેમની અનિચ્છા હોવા છતાં પ્રધાનમંડળની ભલામણ સ્વીકારવાની બંધારણીય ફરજ તેમણે નિભાવી. ૨૬મી જુને ૧૯૭૫ની મધરાતથી જ રાજ્ય અને કેન્દ્રીય કક્ષાના વિપક્ષી નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. જેમાં સર્વોદય નેતા જયપ્રકાશ નારાયણ, સંસ્થા કોંગ્રેસના મોભી મોરારજીભાઈ દેસાઈ, જનસંઘના સર્વોચ્ચ અટલ બિહારી વાજપાયી અને એલ.કે. અડવાણી સંયુક્ત સમાજવાદી પક્ષના રાજનારાયણ મધુ લીમયે, મધુ દંડવતે તેમજ અન્ય વિપક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે. તેજાબી વિપક્ષી નેતા જ્યોર્જ ફર્નાન્ડીઝને કહેવાતા સુરંગ કાંડમાં સંડોવી જેલ ભેગા કર્યા. ગુજરાતમાંથી પણ કેશુબાપા, ચીમનભાઈ શુકલ, નગીનભાઈ શાહ સહિત રાજ્ય કક્ષાના નેતા તો ઠીક પણ એબીવીપી સાથે સંકળાયેલા ઘણા નેતાઓને જેલમાં ધકેલી દીધા. તે વખતના ‘સાધના’ના તંત્રી અને હાલના કટારલેખક વિષ્ણુભાઈ પંડયા સહિતના ઘણા પત્રકારોને પણ ઈંદિરા ગાંધીના શાસને જેલનો સ્વાદ ચખાડ્યો હતો.
આ બધાની સાથે અખબારો પર સેન્સરશીપ લાદી દીધી, જે મુજબ કોઈ અખબારો સરકારની જરા સરખી પણ ટીકા કરવાની નહિ. રોજેરોજ સરકારનું માહિતી ખાતું અખબાર ચેક કરે પછી જ તેને પ્રસિદ્ધ કરવાનું એવો નિયમ બનાવ્યો હતો. તે વખતે માત્ર આકાશવાણી હતું તે તો માત્ર ઈંદિરાવાણી જેવું બની ગયું હતું. દૂરદર્શન ૧૯૮૦ આસપાસ આવ્યુ એટલે અન્ય ચેનલો કે સોશ્યલ મીડિયાના અસ્તિત્વ તો હતા જ નહિ. લોકોમાં રોષ હતો. પણ કોણ વાચા આપે ? જે કોઈ નેતા કે ક્રાંતિકારી વિચારકો બહાર હતા તેઓ સરકારવિરોધી પ્રવચન કરે કે તરત જ તેને રાજદ્રોહનો આરોપ લગાવી જેલના સળિયા પાછળ ધકેલી દેવાતા હતાં.
કટોકટીમાં તે વખતના કોંગ્રેસીઓ ને તેમાંય શાસક કોંગ્રેસીઓ જ સલામત હતા. બાકીના બધા સામે સરકારની વિરૂદ્ધમાં બોલે એટલે રાજદ્રોહનો આરોપ લગાવી દેવાતો હતો. અત્યારે જેમ શાસક પક્ષના ભક્તો છે અને શાસક પક્ષ શ્રેષ્ઠ છે તેવા નારા લગાવનારા અને સાચી ખોટી વાતો કહેનારા ભક્તો છે તે વખતે પણ ઈંદિરાના ભક્તો હતા. તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ દેવકાંત બરૂઆએ ‘ઈંદિરા ઈઝ ઈન્ડિયા’ સૂત્ર આપ્યું હતું. (અત્યારે ઘણા નેતાઓ ‘મોદી ઈઝ ઈન્ડિયા’ કહે છે તેમ). ટૂંકમાં લોકોમાં આક્રોશ ચાલું હતો. ગુજરાત સહિત ૪ થી વધુ બીનકોંગ્રેસી સરકારો ઉથલાવી દેવાઈ હતી. (તે વખતે પણ પક્ષપલ્ટાનો ખેલ ચાલું હતો. આજે પણ શામ-દામ-દંડ-ભેદથી પક્ષપલ્ટાનો ખેલ ચાલું છે. માત્ર પાત્રો બદલાયા છે)
૧૯૭૫માં દિલ્હીમાં ડિમોલીશન કરાયુ હતું. કટોકટીના ઓઠા હેઠળ તે વખતના શાસકોએ એટલે કે કોંગ્રેસીઓ શાસકોએ એટલે કે કોંગ્રેસીઓએ લોકો પર તેમાંય ખાસ કરીને વિરોધીઓ પર દમનનો કોરડો વીંઝ્યો હોવાની પણ ચર્ચા થતી હતી. આમ કટોકટીના દોઢ-પોણા બે વર્ષ ઘણા લોકો માટે કાળા દિવસો બની રહ્યા હતા.
૧૯૭૭ના પ્રારંભમાં ઈંદિરા ગાંધીએ કટોકટી હટાવી. રાજકીય નેતાઓને જેલમાંથી અને અખબારોને પ્રિએન્સરશીપમાંથી મુક્ત કર્યા અને ચૂંટણી પણ આપી દીધી. વિપક્ષોએ ધારદાર પ્રચાર કર્યો અને લોકોએ પોતાના આક્રોશનો પડઘો મતપેટીઓમાં મત આપીને પાડ્યો. ઈંદિરા ગાંધી સહિત તેમનું આખું પ્રધાનમંડળ હાર્યું. કોંગ્રેસ આઝાદી બાદ પ્રથમ વખત સત્તા પરથી ફેંકાઈ ગઈ. દેશની પ્રથમ બીનકોંગ્રેસી સરકાર ગુજરાતના જ પનોતા પુત્ર એવા મોરારજીભાઈ દેસાઈની આગેવાની હેઠળ રચાઈ તેમાં તે વખતના સ્વતંત્ર પક્ષના નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એચ.એમ. પટેલ નાણામંત્રી હતાં. જેલમાં રહી ચૂંટણી જીતેલા જ્યોર્જ ફર્નાન્ડીઝ ઉદ્યોગપ્રધાન હતાં. તત્કાલીન જનસંઘના અટલ બિહારી વાજપાયી વિદેશ મંત્રી અને એલ.કે. અડવાણી માહિતી અને પ્રસારણ મંત્રી તો મધુ દંડવતે રેલવે મંત્રી હતા. યુ.પી.ના હોનહાર વિપક્ષી નેતા ચૌધરી ચરણસિંઘ ગૃહપ્રધાન હતાં. જાે કે એક વર્ષ બાદ એચ.એમ. પટેલ ગૃહપ્રધાન બન્યા અને તેમણે બાહ્ય આક્રમણ સિવાય દેશમાં કટોકટી લાદી શકાય નહીં તેવો બંધારણીય સુધારા ખરડો પસાર કરાવ્યો. જાે કે બધા વિપક્ષોના તે વખતના મહાગઠબંધન સમાન જનતા પક્ષ ટક્યો નહિ અને મોરારજીભાઈએ સ્વમાન ખાતર સત્તા છોડી. ચરણસિંઘે ઈંદિરા ગાંધી અને તેમની કોંગ્રેસના ટેકાથી સત્તા કબ્જે કરી પણ ટકી ન શક્યા એ બીનકોંગ્રેસી સરકાર નિષ્ફળ ગઈ છે તેવી લાગણી લોકોમાં ઉભી કરવામાં ઈંદિરા ગાંધી સફળ થયા અને ૧૯૮૦માં ફરી સત્તાસ્થાને આવ્યા.
આમ કટોકટીકાળની અસર ૧૯૭૫થી ૧૯૮૦ના પ્રારંભ સુધી રહી. પછી અદ્રશ્ય થઈ ગઈ. હવે કટોકટીકાળ દરમિયાન એક-બે નોંધપાત્ર ઘટના એ પણ બની હતી કે જીવનજરૂરી ચીજાેના ભાવ સ્થિર તઈ ગયા હતા અથવા તો દોઢ વર્ષમાં ૨૦ ટકા ઘટ્યા હતા જે ૧૯૭૭થી ૧૯૮૦ દરમિયાન પાછા વધ્યા. તમામ સરકારી કચેરીઓમાં અગિયાર વાગ્યા પહેલા તમામ ટેબલો પર કર્મચારીઓની હાજરી હતી. બીનકોંગ્રેસી પક્ષો જેને સરકારી સંત હોવાનો આક્ષેપ કરતાં હતાં તે આચાર્ય વિનોબા ભાવેએ તે વખતે કટોકટીના સમયે અનુશાસન પર્વ નામ આપ્યું હતું. કટોકટીના સમયમાં ઘૂસેલું રાજકીય બદલાનું સ્વરૂપ આજે પણ સાવ બંધ થયું નથી. સરકાર સામે બોલનાર સામે રાજદ્રોહનો કેસ થયાના દાખલા ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન જાેયા છે. પ્રચાર માધ્યમોની પજવણી થાય છે પણ માત્ર સ્ટાઈલ બદલાણી છે. વિપક્ષી સરકારોને ઉથલાવવા કે પોતાનું સ્થાન મજબુત બનાવવા પક્ષપલ્ટાનો ખેલ ઉપર જણાવી ગયા તે પ્રમાણે આજે પણ ચાલું જ છે.