જીવન એક પરીક્ષા
આજકાલ પરીક્ષાઓની ઋતુ ચાલે છે. દરેક ઘરમાં કોઈક વિદ્યાર્થી આવતી પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે. નાનાં ધોરણના બાળકો ઓનલાઇન પરીક્ષાઓ આપશે પણ એમણે કોરોના કાળમાં પણ ઘણી મહેનત કરી. બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ તો ઘણા તાણથી લડી રહ્યા હોય એમ લાગે છે. આ બધાં જ વિદ્યાર્થીઓ જેમ તેમ કરી સ્કૂલ અને બોર્ડની પરીક્ષાઓ તો પાસ કરી જ લેશે, પણ શું એમને આપણે જીવનની પરીક્ષાની તૈયારીઓ કરાવી છે? પરીક્ષા ભણતરની હોય કે જીવનની, એને પાસ કરવા માટે સમર્પણ, દ્રઢ નિષ્ઠા, સતત પ્રયત્નો અને અથાક પરિશ્રમની જ જરૂર પડે છે.
સ્કૂલોમાં પહેલાં પાઠ શીખવે અને પછી પરીક્ષા લેવામાં આવે. જીવન તો પરીક્ષા લઈને જ પાઠ શીખવી જાય.
ભણતરની પરીક્ષામાં તો કયો વિષય, કયા પાઠ, કેવા પ્રશ્નો, એ બધું જ પહેલે થી ખબર હોય છે, જીવન એ રીતે પરીક્ષા નથી લેતું. ઘણી વાર શાળામાં શિક્ષક શીખવેલા વિષયોમાંથી એકાએક પ્રશ્ન પૂછીને surprise test લે છે. જે વિદ્યાર્થીએ તૈયારી કરી હોય એ પાસ થાય અને જેણે ભગવાન ભરોસે છોડી દીધું હોય એ ફેલ. જીવન પણ આ જ રીતે surprise tests લેતું જ રહે છે. ” Life is a surprise test”.
તો આપણને એમ થાય કે ભણતરની પરીક્ષાઓની તૈયારી માટે તો અઢળક પુસ્તકો, શાળા અને ટયૂશનનાં શિક્ષકો અને આજકાલ તો Google પણ ઘણી મદદ કરે છે, પણ જીવની પરીક્ષાની તૈયારી કઈ પુસ્તક કે કયા શિક્ષક પાસેથી કરવી? આ પરીક્ષાનો પાઠ્યક્રમ દરેક વિદ્યાર્થી માટે જુદો જુદો છે, તો એની તૈયારીના સાધનો સરખાં કેવી રીતે હોઈ શકે? દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અનેક પ્રકારના અનુભવો પ્રાપ્ત કરતી હોય છે. સારાં – નરસા, મહત્વના – નકામાં, આનંદમય – દુઃખી, દરેક પ્રકારના અનુભવો. બસ આ જ અનુભવોનું મનમાં એક પુસ્તક બનાવી લેવું.
દરેકને નાનપણમાં નાની મોટી ભૂલો કરવા પર વડીલો એને સુધારવાની શીખ આપે. સાચા ખોટાનું જ્ઞાન આપે. આંગળી પકડીને ચાલતાં શીખવાડે, ચાલતાં ચાલતાં પડી જાય તો જાતે ઊઠતાં પણ શીખવાડે. માતા પિતા એક વ્યક્તિમાં અનેક પ્રકારથી સંસ્કાર સ્થાપિત કરવાના પ્રયત્નો કરતાં જ રહે છે. બાળકો માતા પિતાના પરસ્પર વર્તનથી જ બીજાં સાથે વર્તન કરતાં શીખે છે. માં બાપના આપેલા સંસ્કાર જ એક વ્યક્તિ પોતાનાં બાળકોમાં પણ સીંચે છે. વડીલોની સલાહ, માં બાપના આપેલા સંસ્કાર એક વ્યક્તિના જીવનમાં શિક્ષકોનું કામ કરે છે.
જેમ એક મહેનતું વિદ્યાર્થી પરીક્ષાના દરેક પ્રશ્નનો ઉત્તર પૂર્ણ આત્મવિશ્વાસ અને નિર્ભયતા થી આપી શકે છે, તેમ એક પરિશ્રમી અને નિષ્ઠાવાન વ્યક્તિ પણ જીવનની કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિને ધૈર્ય અને સહનશીલતા થી પોતાનાં પક્ષમાં કરી શકે છે. ભૂતકાળમાં મળ્યા અનુભવો, વડીલોની શીખ, માં બાપના આપેલા સંસ્કાર એને મનમાં વસતો આત્મવિશ્વાસ જ જીવનની પરીક્ષાની તૈયારીના સાધનો છે.
સ્કૂલ અને જીવનની પરીક્ષામાં અંતર ફક્ત એટલો જ છે કે સ્કૂલની પરીક્ષા પાસ કરીને વિદ્યાર્થી એ ધોરણ ભૂલીને આગળ વધે છે જ્યારે જીવનની એક પરીક્ષા પાસ કરીને વ્યક્તિ એનો બોધ આગળની પેઢીઓને શીખ અને સંસ્કારના રૂપમાં અર્પિત કરે છે. જેમ નવું ધોરણ નવાં પ્રશ્નો લઈને આવે છે તેમ જીવનનો નવો દિવસ નવી સમસ્યાઓ લઈને આવે છે. દરેક પ્રશ્નનો સાચો ઉત્તર અને દરેક સમસ્યાનો કાયમી ઉકેલ જેની પાસે હોય એ જ સાચો વિદ્યાર્થી !
@ સ્નેહા ધોળકીયા, કટાર લેખક